રાજ્ય સરકાર ખાનગી પક્ષો અને ધારાવીના રહેવાસીઓને મઢમાં 195 એકર જમીન આપશે

મુંબઇઃ ધારાવી પુનઃવિકાસ પ્રોજેક્ટના ભાગરૂપે કોર્પોરેટ હાઉસ, ખાનગી વ્યક્તિઓ, વિધાન સભ્યો અને રહેવાસીઓના એક વર્ગને પુનઃસ્થાપિત કરવા માટે ઉત્તર મુંબઈમાં મઢ ખાતે 195 એકર જમીનની ફાળવણી કરવાની દરખાસ્ત પર રાજ્ય સરકાર ટૂંક સમયમાં વિચારણા કરશે. 8 ઓક્ટોબરે રાજ્ય કેબિનેટ સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે.
મુંબઇના પશ્ચિમ કિનારે આવેલો મઢનો દરિયા કિનારો શાંત અને રમણીય વિસ્તાર છે. વીક એન્ડમાં લોકો અહીં ફરવા જવાનું પસંદ કરે છે. એક સમયે આ વિસ્તાર માછીમારોનું ગામ ગણાતો હતો. તેઓ અહીં રહેતા હતા અને કેટલીક જમીન પર ખેતી પણ કરતા હતા. હજી પણ અહીં માછીમારોના ઘર જોવા મળે છે. આ શાંત વિસ્તારમાં નાના બંગલા આવેલા છે, જેમાંથી ઘણા બંગલા ફિલ્મ અને સીરીયલ શૂટ માટે ભાડે આપવામાં આવે છે. મઢમાં ભારતીય વાયુસેનાનું બેઝ પણ છે.
દરિયાકાંઠાનો વિસ્તાર હોવાને કારણે, મોટાભાગનો મઢનો વિસ્તાર નો-ડેવલપમેન્ટ ઝોનમાં છે, પરંતુ મુંબઈ કોસ્ટલ રોડની જાહેરાત થઈ ત્યારથી તેને વિકસાવવા માટેનું દબાણ વધી રહ્યું છે. અહીં જમીનની કિંમતો વધી ગઈ છે અને કનેક્ટિવિટી અનેક ગણી વધશે, જેનાથી આ સમગ્ર વિસ્તારની કાયાપલટ થઇ જશે.
આ પણ વાંચો: ધારાવી રિડેવલપમેન્ટ: સ્થાનિકોનું સમર્થન, બિન સ્થાનિકો દ્વારા ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ
રાજ્ય સરકારના સૂત્રોનું કહેવું છે કે જો 8 ઓક્ટોબરે કેબિનેટ સમક્ષ રજુ કરાયેલ દરખાસ્ત પસાર થશે તો અહીં એક કોર્પોરેટ હાઉસને ચેરિટેબલ હોસ્પિટલ માટે જમીન આપવામાં આવશે અને એક સંગીતકારને મ્યુઝિક એકેડમી માટે જમીન આપવામાં આવશે. કેટલાક પ્લોટ વિઘધાન સભ્યો માટે પણ ફાળવવામાં આવશએ. (તેમને અગાઉ વર્સોવામાં પ્લોટ આપવામાં આવ્યા હતા, પણ કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના પ્રતિબંધોને કારણે તેનું ડેવલપમેન્ટ શક્ય નહોતું)
હાલમાં ધારાવીના રિડેવલપમેન્ટની વાતો ચાલે છે. ધારાવીમાં લાખો લોકો રહે છે. તેમને ક્યાં વસાવવા એ મોટો સવાલ છે. તેમને સરકારે કાંજુરમાર્ગ, મુલુંડ અને કુર્લા ખાતે રેન્ટલ હાઉસિંગ સ્કીમને જમીન આપી છે. સરકારે મુલુંડ અને દહિસરમાં અગાઉના ઓક્ટ્રોય નાકા પરના રેન્ટલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ રદ કર્યા છે. રાજ્ય સરકાર તેમને હવે બંધ થઈ ગયેલા દેવનાર ડમ્પિંગ યાર્ડ ખાતે જગ્યા ફાળવવાનું વિચારે છે. હાલમાં જ કેન્દ્રએ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે મુંબઈમાં 255 એકર સોલ્ટ પાન જમીન ટ્રાન્સફર કરી હતી.
જોકે, સરકારની ધારા સભ્યોને અને ધારાવીના લોકો માટેની રેન્ટલ હાઉસિંગ સ્કીમ માટે પ્લોટ ફાળવવાની વાત માટે વિરોધ થઇ રહ્યો છે. કારણ કે સરકારે સંરક્ષણ દળો, કોસ્ટ ગાર્ડ, રાજ્ય ગૃહ વિભાગ અને જેલ બાંધવા માટે મઢ વિસ્તારમાં જમીન આપવાની દરખાસ્ત હંમેશા નકારી કાઢી છે. મલાડ (વેસ્ટ)ના ધારાસભ્ય અસલમ શેખ (કોંગ્રેસ) કહે છે કે મુંબઈમાં ખુલ્લી જગ્યાની અછત છે. “અમે ઈચ્છીએ છીએ કે મઢ જેવા વિસ્તારો વિકાસથી મુક્ત રહે. એકવાર અમે સત્તામાં આવીશું, તો અમે ધારાવીના રહેવાસીઓ માટે રેન્ટલ હાઉસિંગ સ્કીમ રદ કરાવીશું,” એમ તેમણે કહ્યું હતુ. જોકે, ધારાસભ્યોને ફાળવવામાં આવનારી જમીનની દરખાસ્ત બાબતે તેમણે કોઇ ટિપ્પણી નહોતી કરી.