મહારાષ્ટ્ર સરકારે સશસ્ત્ર દળો સાથે બેઠક યોજી મુખ્ય પ્રધાન ફડણવીસે અસરકારક સંકલનની ખાતરી આપી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું કે રાજ્ય સરકાર સશસ્ત્ર દળો સાથે અસરકારક સંકલન સુનિશ્ર્ચિત કરશે અને તેમની સાથે મળીને કામ કરશે. ભારત-પાકિસ્તાન સંઘર્ષને પગલે રાજ્ય સરકારે સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મુખ્ય એજન્સીઓના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠક દરમિયાન તેઓ બોલી રહ્યા હતા.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગુપ્ત માહિતીના આદાનપ્રદાન, ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ અને સાવચેતીભર્યા પગલાં લેવા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ વાટાઘાટોમાં સુરક્ષા એજન્સીઓ અને સરકાર વચ્ચે સહયોગ માટે સંકલન રાખવા માટે મશીનરીની સ્થાપનાનો સમાવેશ થતો હતો, એમ તેમાં જણાવાયું છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, સશસ્ત્ર દળો દ્વારા શક્તિ અને ચોકસાઈ સાથે ચલાવવામાં આવેલ ઓપરેશન સિંદૂર અસાધારણ હતું.
‘હું સશસ્ત્ર દળોને સલામ કરું છું. મુંબઈ અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે દેશની આર્થિક રાજધાની છે. ગુપ્ત માહિતીની આપ-લે અત્યંત મહત્ત્વપૂર્ણ રહેશે અને સાયબર સુરક્ષા મોરચે પૂરતી કાળજી લેવાની જરૂર છે,’ એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: આત્મનિર્ભરતા તરફ વધતા ભારતીય સશસ્ત્ર દળો નવા વર્ષે ક્ષમતામાં થશે વધારો
મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા વિસ્તાર માટે ભારતીય સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી) લેફ્ટનન્ટ જનરલ પવન ચઢ્ઢા, નૌકાદળના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ મહારાષ્ટ્ર નેવલ એરિયા (એફઓએમએ) રીઅર એડમિરલ અનિલ જગ્ગી, ભારતીય વાયુસેના (આઈએએફ)ના એર વાઇસ માર્શલ રજત મોહન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ), જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી), બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ), આતંકવાદ વિરોધી ટુકડી (એટીએ), હોમગાર્ડ્સ વગેરેના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર, મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લા, મુંબઈના પોલીસ કમિશનર દેવેન ભારતી અને અન્ય અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.