.જો મહારાષ્ટ્રના હિતમાં અને ભાજપને દૂર રાખવા માટે સેના યુબીટી-મનસે ગઠબંધનનું સ્વાગત કરશે કોંગ્રેસ…

મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસે શુક્રવારે જણાવ્યું હતું કે જો રાજ્યના હિતમાં અને ‘કોમી’ ભાજપને દૂર રાખવા માટે શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) વચ્ચેના ગઠબંધનનું સ્વાગત કરશે. વિમુખ થયેલા પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે સંભવિત સમાધાનની અટકળો વચ્ચે કૉંગ્રેસ પાર્ટીનું આ નિવેદન આવ્યું છે કારણ કે તેમની તાજેતરની ટિપ્પણીઓ દર્શાવે છે કે બંને ઠાકરે ભાઈઓ હાથ મિલાવી શકે છે.
રાજ્ય કોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંઢેએ જણાવ્યું હતું કે, ‘શિવસેના (યુબીટી) અને મનસે બંને તરફથી એવી વાત થઈ છે કે તેઓ મહારાષ્ટ્રના હિતોનું રક્ષણ કરવા અને કોમી ભાજપને દૂર રાખવા માટે હાથ મિલાવશે. જો બંને પક્ષો આ માટે સાથે આવી રહ્યા છે, તો અમે આ પગલાનું સ્વાગત કરીશું.’

રાજ ઠાકરેએ અગાઉ કહ્યું હતું કે મરાઠી માણસો (મરાઠીભાષી લોકો)ના હિતમાં એક થવું મુશ્કેલ નથી, જ્યારે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ નાના ઝઘડાઓને બાજુ પર રાખવા તૈયાર છે, જો મહારાષ્ટ્રના હિતોની વિરુદ્ધ કામ કરનારાઓને સાથ ન આપવામાં આવે.
લોંઢેએ કહ્યું હતું કે, ‘જે લોકો સત્તામાં છે અને બંધારણીય પદો પર છે તેઓ જાતિ અને સાંપ્રદાયિક વિભાજન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આપણા પ્રતિષ્ઠિત ચિહ્નો – છત્રપતિ શિવાજી મહારાજ, શાહુ મહારાજ, મહાત્મા ફૂલે અને ડો. બાબાસાહેબ આંબેડકર – ની વિચારધારાને દરરોજ કચડી નાખવામાં આવે છે. જો તેઓ (સેના યુબીટી અને મનસે) આ વિચારધારાના રક્ષણ માટે એકસાથે આવે છે, તો કોંગ્રેસ તેનું સ્વાગત કરશે.

જો આવું થાય, તો તે છત્રપતિ શિવાજી મહારાજને યોગ્ય શ્રદ્ધાંજલિ હશે, એમ તેમણે ઉમેર્યું હતું. મરાઠા સામ્રાજ્યના સ્થાપકનો રાજ્યાભિષેક સમારોહ 1674માં છઠી જૂને યોજાયો હતો. દરમિયાન, ભાજપના એમએલસી પ્રવીણ દરેકરે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતા એવો દાવો કર્યો હતો કે તેમના વિચારો અને જનતાનો અભિપ્રાય સમજવાની ક્ષમતા ખતમ થઈ ગઈ છે.
‘મને તે આછકલું લાગે છે. લોકોના મંતવ્યો અને મત ચૂંટણી દરમિયાન વ્યક્ત થાય છે,’ એમ દરેકરે પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે મનસેના નેતા સંદીપ દેશપાંડે દ્વારા કરવામાં આવેલી ભૂતકાળની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો હતો, જેમણે કહ્યું હતું કે 2014 અને 2017 (મુંબઈ પાલિકા) ચૂંટણીઓમાં, મહારાષ્ટ્રના લોકોએ પોતાનું મન બનાવી લીધું હતું, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ એવું થવા દીધું નહોતું.
‘ઉદ્ધવ ઠાકરેના મનમાં ખરેખર શું છે તે વધુ મહત્વનું છે. હું જાણું છું કે લોકોના મનમાં શું છે,’ એમ દેશપાંડેએ તે સમયે કહ્યું હતું. દરેકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ બે પિતરાઈ ભાઈઓના એક સાથે આવવાની વાતથી ઈર્ષ્યા કરતા નથી કારણ કે તે ‘પારિવારિક પુન:મિલન’ છે. ‘પરંતુ મને શંકા છે કે આવું જોડાણ રાજકીય રીતે કેવી રીતે કાર્ય કરશે,’ એમ દરેકરે દાવો કર્યો હતો.

દરેકરે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે દિવંગત બાળ ઠાકરેની વિચારધારાથી દૂર ગયા હતા અને કોંગ્રેસની લાઇન અપનાવી હતી.
‘ઠાકરે એમવીએમાં ફસાઈ ગયા છે. મને નથી લાગતું કે રાજ ઠાકરે ઉદ્ધવ સાથે હાથ મિલાવશે કેમ કે તેઓ હજુ પણ કોંગ્રેસ સાથે જોડાયેલા છે,’ એમ ભાજપના નેતાએ દાવો કર્યો હતો.
વધુમાં, શિવસેના (યુબીટી) અને મનસેના કાર્યકરો લાંબા સમયથી કટ્ટર હરીફ રહ્યા છે અને તેનો ઉકેલ લાવવો મુશ્કેલ બનશે, એમ પણ દરેકરે જણાવ્યું હતું. ‘આવા અનેક સમીકરણો સંકળાયેલા છે. આ પૃષ્ઠભૂમિ સામે, મને નથી લાગતું કે તેઓ એક સાથે આવશે,’ એમ તેમણે કહ્યું હતું.