હિન્દી વિષય પર વિપક્ષ રાજકારણ કરે છે: ભાજપનો દાવો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે શનિવારે કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે કે મહારાષ્ટ્રની શાળાઓમાં પહેલા ધોરણથી હિન્દીને ફરજિયાત વિષય બનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના ત્રિભાષી સૂત્ર હેઠળ મહારાષ્ટ્રમાં હિન્દી ફરજિયાત વિષય નથી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે, એમ દરેકરે ભારપૂર્વક જણાવ્યું હતું.
વિપક્ષ બિનજરૂરી રીતે આ મુદ્દાનું રાજકારણ કરી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકારે ડૉ. માશેલકર સમિતિની ભલામણો સ્વીકારી હતી, જેમાં ત્રિભાષી નીતિનો સમાવેશ થતો હતો. મુંબઈ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વીસી ભાલચંદ્ર મુણ્ગેકર સમિતિનો ભાગ હતા. જે ઠાકરેએ મંજૂરી આપી હતી તે જ હવે તેનો વિરોધ કેમ કરી રહ્યા છે, એવો સવાલ દરેકરે પત્રકારોને કર્યો હતો. દરેકરે એવો પણ દાવો કર્યો હતો કે ત્રણ ભાષાની નીતિથી વિદ્યાર્થીઓને ફાયદો થશે કારણ કે તેમને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવી પડશે.
‘નાનપણથી જ ત્રણ ભાષાઓ શીખવાથી તેમને મદદ મળશે. અમે આ નિર્ણય પર અડગ છીએ. હિન્દી ફરજિયાત બનાવવામાં આવી રહી નથી. પહેલા ધોરણથી હિન્દી શીખવું વૈકલ્પિક છે. તેમ છતાં, વિપક્ષ ખોટી માહિતી ફેલાવી રહ્યો છે અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમને રેલીઓ કાઢવા, પેમ્ફલેટનું વિતરણ કરવાનો અને લોકો સુધી પહોંચવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ હકીકતોના ભોગે નહીં,’ એમ તેમણે ઉમેર્યું હતું.
ભાષાના આધારે ભય ફેલાવવાને બદલે, વિપક્ષે મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવું જોઈએ, એમ ભાજપના નેતાએ કહ્યું હતું. તેમણે મહાયુતિ ગઠબંધનમાં ભાષાના મુદ્દા પર મતભેદોના અહેવાલોને પણ નકારી કાઢ્યા હતા. કોઈપણ ગઠબંધનમાં નાના મતભેદો સામાન્ય છે. તેને મુદ્દો બનાવવાની કોઈ જરૂર નથી. સત્તામાં રહેલા ત્રણેય પક્ષો સાથે મળીને કામ કરી રહ્યા છે અને તેઓ સામૂહિક રીતે નિર્ણયો લે છે,’ એમ તેમણે કહ્યું હતું.