આમચી મુંબઈ

મહારાષ્ટ્રમાં સાયબર સુરક્ષા માટે દેશમાં સૌથી અદ્યતન સુવિધાઓ છે: ફડણવીસ…

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્યમાં સાયબર સુરક્ષા માટે દેશની સૌથી અદ્યતન સુવિધાઓ છે અને ઓનલાઈન ગુનાઓ સામે નાગરિકોમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ફડણવીસ મહારાષ્ટ્ર સાયબરના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ અને સાયબર જાગૃતિ દસ્તાવેજી ફિલ્મના લોન્ચિંગ પ્રસંગે બોલી રહ્યા હતા.

મહારાષ્ટ્ર સાયબર રાજ્ય પોલીસ દળ હેઠળની સાયબર ક્રાઇમ ડિટેક્શન એજન્સી છે. તે રાજ્યમાં સાયબર ગુના તપાસ અને સાયબર સુરક્ષા જાળવણી માટે નોડલ ઓફિસ તરીકે સેવા આપે છે. મહારાષ્ટ્રમાં સાયબર સુરક્ષા માટે દેશમાં સૌથી અદ્યતન સુવિધાઓ છે. આ (ચેટબોટ અને દસ્તાવેજી) દ્વારા લોકોને સાયબર ગુનાઓ અને માનવ તસ્કરીથી બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે,’ એમ ફડણવીસે જણાવ્યું હતું.

આ પ્રસંગે સાયબર સુરક્ષા પર એક દસ્તાવેજી ફિલ્મ બતાવવામાં આવી હતી. અભિનેતા શરદ કેળકર અને અભિનેત્રી અમીષા પટેલ મરાઠી અને હિન્દીમાં આ દસ્તાવેજી ફિલ્મનો ભાગ છે. મહારાષ્ટ્ર સાયબરનું ચેટબોટ ‘1945’ હેલ્પલાઇન સાથે જોડાયેલ છે. સાયબર ગુના અને ફરિયાદ કેવી રીતે નોંધાવવી તે અંગેની માહિતી આ ચેટબોટમાં ઉપલબ્ધ થશે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, સાયબર છેતરપિંડી સંબંધિત મોટી સંખ્યામાં કોલ આવે છે અને તે બધાને સાવધાની સાથે જવાબ આપવો જરૂરી છે.

‘તેથી ચેટબોટ્સ અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ આવા કોલનો જવાબ આપવા અને નાગરિકોને માહિતી પૂરી પાડવા માટે લાભદાયક છે. સાયબર ગુનાઓ બનતા પહેલા તેને રોકવા માટે જાગૃતિ જરૂરી છે. આવા કાર્યમાં શરદ કેળકર અને અભિનેત્રી અમીષા પટેલ જેવા કલાકારોની ભાગીદારી નાગરિકોને સારો સંદેશ આપશે,’ એમ તેમણે ઉમેર્યું હતું. રોજગાર આપવાના બહાને લોકોને વિદેશ લઈ જવા અને ત્યાં વેચવા જેવી ઘટનાઓને રોકવા માટે ભવિષ્યમાં જનજાગૃતિ પણ ઉભી કરવી જોઈએ, એમ પણ તેમણે કહ્યું હતું.

માનવ તસ્કરી જેવા અમાનવીય સ્વરૂપોને રોકવા માટે મહારાષ્ટ્ર સાયબરે જનજાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું. કેળકરે કહ્યું હતું કે, સાયબર ગુના અને સાયબર સુરક્ષા વિશે જાગૃતિ લાવવી જરૂરી છે. મને આ પહેલનો ભાગ બનવાનો આનંદ છે અને આનાથી મોટા પાયે જાગૃતિ આવશે. મહારાષ્ટ્ર સાયબર દ્વારા શરૂ કરાયેલ સાયબર સુરક્ષા હેલ્પલાઇન નંબર વર્તમાન સમયમાં ઉપયોગી છે,’ એમ તેમણે કહ્યું હતું.

પટેલે એમ પણ કહ્યું હતું કે ડિજિટાઇઝેશનના આ યુગમાં સાયબર ગુનાની ઘટનાઓને કાબુમાં લેવી જરૂરી છે.
‘આ માટે લોકોમાં જાગૃતિ મહત્વપૂર્ણ છે. તેથી, મહારાષ્ટ્ર સાયબર દ્વારા શરૂ કરવામાં આવેલી જાગૃતિ પહેલ આજના સમયમાં મહત્વપૂર્ણ છે,’ એમ તેમણે કહ્યું હતું. મહારાષ્ટ્ર સાયબરે તાજેતરમાં મ્યાનમાર અને લાઓસમાં રોજગાર માટે ગુલામ તરીકે વેચાયેલા 64 લોકોને બચાવ્યા છે, અને પાંચ એજન્ટોની ધરપકડ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button