મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ 11 કે 12 ડિસેમ્બરે

મુંબઈ: ‘દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારનું કેબિનેટ વિસ્તરણ 11 અથવા 12 ડિસેમ્બરે થવાની સંભાવના છે,’ એમ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘સંભવિત રીતે, અગાઉની એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકારની જેમ અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી નાણા અને ભાજપ ગૃહ વિભાગ જાળવી રાખશે.’
જો સેનાના સૂત્રોનું માનીએ તો શિંદેની આગેવાની હેઠળની શિવસેના નગર વિકાસ જાળવી રાખશે અને મહેસુલ ખાતું પણ મેળવી શકે છે.
મહારાષ્ટ્રની કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત વધુમાં વધુ 43 પ્રધાનો હોઈ શકે છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર સરકારના શપથ ગ્રહણ પહેલા જારી થઇ ટ્રાફિક એડવાઇઝરી
ભાજપ મહાયુતિ ગઠબંધનનો સૌથી મોટો ઘટક છે, તેને 21-22 પ્રધાનપદ મળવાની અપેક્ષા છે. શિવસેનાને 11 થી 12 પ્રધાનપદ અને એનસીપીને 9 થી 10 બર્થ મળી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, ‘શપથ ગ્રહણ કરનાર પ્રધાનોની સંખ્યા અંગે અંતિમ નિર્ણય એક-બે દિવસમાં લેવામાં આવશે.’
સ્પીકરની ચૂંટણી સોમવારે યોજાશે, ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહાયુતિ સરકારનો વિશ્ર્વાસનો મત લેવામાં આવશે.
આપણ વાંચો: Fact Check મહારાષ્ટ્ર સરકારે વકફ બોર્ડ માટે ૧૦ કરોડ ફાળવ્યા કે નહીં, જાણો હકીકત
મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર શનિવારે (7 ડિસેમ્બર, 2024) મુંબઈના વિધાન ભવન ખાતે શરૂ થશે. ત્રણ દિવસનું વિશેષ સત્ર સોમવારે (9 ડિસેમ્બર, 2024) ના રોજ સમાપ્ત થશે, અને સ્પીકરની ચૂંટણી સોમવારે (9 ડિસેમ્બર, 2024) ના રોજ યોજાશે.
રાજ્યની બીજી રાજધાની નાગપુરમાં 16 ડિસેમ્બરથી વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થશે, તે પહેલાં કેબિનેટનું વિસ્તરણ કરીને અન્ય પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. (પીટીઆઈ)