હારની સાથે એમવીએ વિખેરાવા માંડીઃ પાંચ વિધાનસભ્યો પક્ષ છોડે તેવી શક્યતા

મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાન સભા ચૂંટણીના અણધાર્યા પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે. આવી બંપર જીતની તો ખુદ ભાજપએ પણ કલ્પના નહોતી કરી, પણ મહારાષ્ટ્રના લોકોએ મહાયુતિને ભરીભરીને મત આપ્યા છે. રાજ્યમાં સત્તાની ચાવી તો મહાયુતિને મળી ગઇ છે, પણ મુખ્ય પ્રધાનના નામ પર સસ્પેન્સ છે. દરમિયાન, NCP (અજિત પવાર) જૂથનાચીફ વ્હીપ અનિલ પાટિલે એવો દાવો કર્યો છે કે મહાવિકાસ અઘાડીમાં ખટપટ તેજ બનતી જઇરહી છએ અને આગામી બેચાર મહિનામાં ઘણા વિધાન સભ્યો પક્ષ છોડી શકે છે અને મહાયુતિમાં જોડાઇ શકે છે.
પાટીલે જણાવ્યું હતું કે એનસીપી (શરદ પવાર), કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) ના જે વિધાન સભ્યોએ વિધાનસભાની ચૂંટણી જીતી છે, તેઓ હાલમાં મૂંઝવણની સ્થિતિમાં છે. અમારી સાથે સારા સંબંધો ધરાવતા વિધાન સભ્યોએ મહાવિકાસ આઘાડીની હાર પર ચિંતા વ્યક્ત કરી છે. જો કોઈ વિધાન સભ્યને પોતાના મતવિસ્તારમાં વિકાસ જોઈતો હોય તો તેના માટે શાસક પક્ષ સાથે રહેવું વધુ સારું છે.
આ પણ વાંચો…..વર્તમાન નાણાકીય વર્ષમાં સીધા વેરાની વસૂલી લક્ષ્યાંક કરતાં વધશે: જાણો કેટલા ઠલવાશે સરકારની તિજોરીમાં
નોંધનીય છે કે એમવીએ (મહા વિકાસ આઘાડી)માં કોંગ્રેસ, શરદ પવારની એનસીપી, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) સામેલ છે. વિધાનસભાની ચૂંટણીમાં આ કેમ્પને મોટો ફટકો પડ્યો છે. 288 સભ્યોની વિધાનસભામાં એમવીએ ગઠબંધન માત્ર 46 બેઠકો જ જીતી શક્યું છે. તેની સામે ભાજપના નેતૃત્વમાં બેઠકોની આંધી આવી છે. મહાયુતિ ગઠબંધન 230 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. મહાગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી સામેલ છે.