ત્રીજી વખત શપથ લેવા દો, પહેલા તમે…: Sanjay Rautના સૂર બદલાયા?
ભાજપમાં જોડાવવા અંગે ઠાકરે જૂથનાં સાંસદે કરી સ્પષ્ટતા

મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો નથી, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનને સત્તામાં સરકાર બનાવવાની તક પણ મળી નથી ત્યારે આ મુદ્દે ચારેબાજુ ચર્ચાનો વિષય છે. આ મુદ્દે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે (UBT’s MP Sanjay Raut) કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૃદ્ધ નેતા છે. ભગવાનના અવતાર છે. તેમની (ભાજપ) પાસે બહુમત નથી, પરંતુ (એનડીએ સાથે હોવાને કારણે) આંકડો મોટો છે. તેથી પહેલા તમે અને એના પછી અમે.
રાષ્ટ્રપતિભવનમાં જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે અને ત્રીજી વખત તેમને સોગંધ લેવા દો, એમ રાઉતે જણાવ્યું હતું. સંજય રાઉતે કહ્યું કે ત્રીજી સોંગધ પછી ચોથી સોગંધ અંગે અમે વિચારીશું. ત્રીજી સોગંધ ખાધા પછી ચોથી સોગંધની વાત આવશે, એમ પણ રાઉતે જણાવ્યું હતું.
લોકસભાની ચૂંટણીના પરિણામો પૂર્વે મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ભાજપમાં જોડાવવા અંગેની અટકળો વહેતી થઈ હતી તેના અંગે હવે શિવસેનાએ સ્પષ્ટતા કરી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)એ તમામ અટકળોને આજે ફગાવી દીધી છે, જેમાં ઉદ્ધવ ઠાકરે ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સાથે હાથ મિલાવવા માગી રહ્યા છે.
આ મુદ્દે શિવસેના (યુબીટી)નાં રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે ભાજપ બીટ સાથે સંકળાયેલા તમમ પત્રકારોનો એક સ્ત્રોત છે. પીએમઓમાં બેઠેલા તેમના મીડિયા સલાહકાર, જે ભાજપનો એજન્ડા ચલાવી રહ્યા છે. એ લોકોનું હું કહેવા માગું છું કે હજુ પણ સમય છે થોડા સુધરી જાઓ. જાહેર જનતાએ તમારા તમામ જાહેર કરવામાં આવેલા જુઠને ફેલ કર્યા છે અને બહુમતથી દૂર રાખ્યા છે.
વાસ્તવમાં મીડિયાના અહેવાલમાં પહેલા એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપના એક નેતાને ઠાકરે સાથે વાતચીત કરવા માટે જવાબદારી સોંપી હતી. લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સેના સાથે ઉદ્ધવ ઠાકરે સેનાનું પ્રદર્શન સારું રહ્યું છે. ઠાકરે સેના અને એનસીપીના શરદ પવારનો ઈલેક્શન સ્ટ્રાઈક રેટ સારો રહ્યો છે, જે મહત્ત્વની બાબત છે, એમ વર્તુળે જણાવ્યું હતું.