લાડકી બહેન યોજના: બાવનકુળેએ ગેરકાયદે ભંડોળના ડાયવર્ઝનના આરોપો નકાર્યા

મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ લાડકી બહેન યોજના માટે ભંડોળના ગેરકાયદે ડાયવર્ઝનના આરોપોને નકારી કાઢ્યા હતા અને નબળા જૂથો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. સામાજિક ન્યાય ખાતાના પ્રધાન સંજય શિરસાટે નાણા વિભાગ પર ગેરકાયદે ભંડોળ ફરીથી ફાળવવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ બાવનકુળેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કાનૂની રક્ષણ આવા ડાયવર્ઝનને અટકાવે છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ એવી સ્પષ્ટતા કરી હતી કે આ યોજના વ્યક્તિગત લાભની પહેલ માટે બજેટમાં રાખવામાં આવેલા નિયમો સાથે સુસંગત છે.
તાજેતરમાં, રાજ્યના સામાજિક ન્યાય ખાતાના પ્રધાન સંજય શિરસાટે અજિત પવારના નેતૃત્વ હેઠળના નાણા વિભાગ પર તેમની જાણ વગર તેમના વિભાગમાંથી ભંડોળનું ગેરકાયદે ડાયવર્ઝન કરવાનો આરોપ લગાવ્યો હતો.
ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ કરાયેલી મહિલા-કેન્દ્રિત કલ્યાણ યોજના ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ને કારણે રાજ્ય આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે તે સ્વીકારતાં શિવસેનાના પ્રધાને કહ્યું હતું કે, રાજ્ય સરકારે ફાળવેલ ભંડોળનું સમયાંતરે ડાયવર્ઝન કરવાને બદલે સામાજિક ન્યાય વિભાગને ‘બંધ’ કરી દેવો જોઈએ.
ઓગસ્ટ 2024માં શરૂ કરાયેલી મહાયુતિ સરકારની મુખ્ય યોજના ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ હેઠળ રાજ્યમાં પાત્ર મહિલાઓને માસિક રૂ. 1,500ની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો અંદાજિત વાર્ષિક ખર્ચ રૂ. 40,000 કરોડથી વધુ છે.
શિરસાટના આરોપો સંબંધિત સવાલનો જવાબ આપતાં શાસક ભાજપના રાજ્ય એકમના વડા બાવનકુળેએ કહ્યું હતું કે, ‘એક કાનૂની જોગવાઈ છે જે સુનિશ્ર્ચિત કરે છે કે સામાજિક ન્યાય અને આદિજાતિ વિકાસ જેવા વિભાગો માટે ફાળવવામાં આવેલા ભંડોળને અન્ય કોઈ હેતુ માટે ડાયવર્ઝન ન કરી શકાય. આ ભંડોળ અનામત છે અને સરકાર પાસે તે જોગવાઈઓને રદ કરવાની કોઈ સત્તા નથી. ક્યારેક, ભંડોળના વિતરણમાં વિલંબ થઈ શકે છે, પરંતુ તેનું ડાયવર્ઝન ખોટી રીતે સમજવું જોઈએ નહીં,’ એમ તેમણે ઉમેર્યું હતું.
બીજી તરફ મુખ્ય પ્રધાન ફડણવીસે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, લાડકી બહેન યોજના માટે અન્ય વિભાગોમાંથી કોઈ ભંડોળ ડાયવર્ઝન કરવામાં આવ્યું નથી અને ઉમેર્યું હતું કે જેઓ બજેટને સમજી શકતા નથી તેઓ અપ્રમાણિત દાવા કરી રહ્યા છે.
આ પણ વાંચો…લાડકી બહેન યોજના માટે વિવિધ વિભાગોના ભંડોળમાં કાપ