આમચી મુંબઈ
પૂરતી ડિમાન્ડ હશે તો ગણેશોત્સવમાં કોકણ રેલવે રો-રો ટ્રેન શરૂ કરશે…

મુંબઈ: કોકણ રેલવે આગામી ગણપતિ ઉત્સવ દરમિયાન કારના પરિવહન માટે ખાસ રોલ-ઓન/રોલ-ઓફ (રો-રો) ટ્રેન સર્વિસ ચલાવવાની શક્યતા ચકાસશે એમ એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું. અલબત્ત એ માટે જનતા તરફથી ચોક્કસ સંખ્યાની માંગણી આવે એ જરૂરી છે.
કોકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ (કેઆરસીએલ)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંતોષકુમાર ઝાએ મંગળવારે નવી મુંબઈના બેલાપુર ખાતેના કેઆરસીએલ મુખ્યાલયમાં પત્રકારોને જણાવ્યું હતું કે જો એક સાથે ઓછામાં ઓછી 40 કારનું પરિવહન કરવાનું હોય તો આવી સર્વિસ આપવી શક્ય બનશે.
ગણપતિ ઉત્સવ દરમિયાન કોકણ રેલવે અગ્રણી રો-રો સેવાઓ દ્વારા પેસેન્જર કારનું પરિવહન કેમ નથી કરતી એ સવાલ સંદર્ભે ઝાએ જણાવ્યું હતું કે વેગન પર કારની હેરફેર માટે કેટલાક બદલાવ કરવા જરૂરી છે.
(પીટીઆઈ)