કૅનેડામાં કૅફે પર ગોળીબાર: મુંબઈમાં કપિલના ઘરે પહોંચી પોલીસ

મુંબઈ: કોમેડિયન કપિલ શર્માની કૅનેડામાં નવી શરૂ કરાયેલી રેસ્ટોરાં પર ગોળીબારની ઘટનાને બીજે જ દિવસે મુંબઈ પોલીસ તેના અંધેરીના ઓશિવરા વિસ્તારમાં આવેલા ઘરે પહોંચી હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કપિલ શર્માના સરનામાની ખાતરી કરવાના ઉદ્દેશથી પોલીસની ટીમ શુક્રવારે તેના ઘરે ગઈ હતી.
આપણ વાંચો: ગાઝામાં હવાઇ હુમલા અને ગોળીબારમાં ૮૨નાં મોત
‘કૅનેડામાં કૅફે પર ગોળીબાર થયાના બીજે દિવસે અધિકારીઓ ઓશિવરાની ડીએલએચ એન્ક્લેવ બિલ્ડિંગમાં ગઈ હતી. કોમેડિયનના સરનામાની ખાતરી કરી થોડા સમયમાં જ અધિકારીઓ ત્યાંથી રવાના થયા હતા,’ એવું અધિકારીનું કહેવું છે.
અધિકારીએ ઉમેર્યું હતું કે કપિલ શર્માની સુરક્ષા મજબૂત કરાઈ નથી અને તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું નથી.
કૅનેડાના સરેમાં ‘કેપ્સ કૅફે’ નામે નવી શરૂ કરાયેલી કપિલની રેસ્ટોરાં પર ગુરુવારની વહેલી સવારે ગોળીબાર કરાયો હતો. સરે પોલીસ સર્વિસ (એસપીએસ)ના જણાવ્યા મુજબ ગુરુવારે સ્થાનિક સમય અનુસાર મળસકે 1.50 વાગ્યે ઘટનાની જાણ કરતો કૉલ આવ્યો હતો. ગોળીબારમાં કોઈને ઇજા થઈ નહોતી. (પીટીઆઈ)