કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ ગેરકાયદે હોવાનો ચુકાદો:
મુંબઈનો ૯૦ ટકા કચરો કાંજુરમાર્ગમાં ઠલવાય છે. હવે સુધરાઈ શું કરશે?

મુંબઈ: કાંજુરમાર્ગ ડમ્પિંગની જગ્યા ‘સંરક્ષિત વનપ્રદેશ’ હોવાનો હાઈ કોર્ટે આદેશ આપ્યો છે. આ ચુકાદા સામે રાજ્ય સરકાર તેમ જ સુધરાઈ સુપ્રીમ કોર્ટમાં જવાની છે. જોકે સુપ્રીમ કોર્ટનો અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી હાઈ કોર્ટના આદેશનો અમલ સ્થગિત રહે એવી શક્યતા છે. અલબત્ત, જો સુપ્રીમ કોર્ટ નવેસરથી કચરો કાંજુરમાર્ગમાં ઠાલવવાની ના પાડશે તો સુધરાઈ માટે મોટી સમસ્યા ઊભી થઈ જશે કારણકે અત્યારે મુંબઈનો ૯૦ ટકા કચરો કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠાલવે છે.
મુંબઈમાં દરરોજ ભેગો કરવામાં આવતો કાંજુરમાર્ગ અને દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવતો હોઈ બંનેની ક્ષમતા લગભગ પૂરી થઈ છે. તેમાં પણ દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડની ૧૨૫ એકર જગ્યા રાજ્ય સરકારે ધારાવીના પુનર્વિકાસ માટે આપી દીધી છે અને હવે કાંજુરમાર્ગની જગ્યા હાઈ કોર્ટે ‘સંરક્ષિત વનપ્રદેશ’જાહેર કરી છે અને આ જમીન ત્રણ મહિનામાં ખાલી કરવી પડવાની છે.
કાંજુર ડમ્પિંગની જગ્યા ‘સંરક્ષિત વનપ્રદેશ’ હોવા છતાં તેનો ઉપયોગ ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે કરવા દેવાના રાજ્ય સરકારના નિર્ણયને ગેરકાયદે જાહેર કરીને ૧૧.૯૧ હેકટર જમીનને ‘સંરક્ષિત વનપ્રદેશ’ તરીકેને તેનો દરજ્જો કાયમ રાખીને પાલિકાને ત્રણ મહિનામાં સંબંધિત જગ્યાને પૂર્વવત કરવાનો આદેશ આપ્યો હતો. તેથી સુધરાઈ પાસે હવે ડમ્પિંગ ગ્રાઉન્ડ માટે જગ્યા ઉપલબ્ધ રહેવાની ન હોવાથી આગામી દિવસમાં મુંબઈમાં કચરાની સમસ્યા નિર્માણ થવાની છે.
મુંબઈમાં કચરાના નિકાલ માટે દેવનાર, ગોરાઈ, મુુંલુંડ અને કાંજુરમાર્ગમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા હતા. મુુલુંડ અને ગોરાઈ બંધ થઈ ગયા છે અને દેવનારની ક્ષમતા પણ લગભગ પૂરી થઈ ગઈ છે. તેથી રોજનો લગભગ ૯૦ ટકા કચરો કાંજુરમાર્ગમાં નાખવામાં આવે છે. હાલ મુંબઈમાં દરરોજ ૬,૫૦૦ મેટ્રિક ટન કચરો નીકળે છે, તેમાંથી ૬૦૦ મેટ્રિક ટન કચરો દેવનાર તો બાકીનો કાંજુરમાર્ગમાં નાખવામાં આવે છે. દેવનારની ૧૨૫ હેકટર જગ્યા ધારાવી રિડેવલપમેન્ટ માટે રાજ્ય સરકારે આપી દેતા પહેલાથી પાલિકાને ચિંતા હતી, તેમાં હવે કાંજુરમાર્ગની જગ્યા ‘સંરક્ષિત વનપ્રદેશ’ હોવાનું હાઈ કોર્ટે નિર્ણય આપતા હવે પાલિકા માટે મોટું સંકટ નિર્માણ થયું છે.
કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડ ૨૦૧૧થી અસ્તિત્વમાં આવ્યું છે, જેમાં એક કંપની મારફત કચરા પર પ્રક્રિયા કરીને કચરાનો નિકાલ કરવામાં આવે છે. છતાં હજી ૨૦થી ૩૦ ટકા કચરો બાકી છે. હાઈ કોર્ટના આદેશ બાબતે પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે કાયદાકીય સલાહ લેવામાં આવશે. એ સિવાય કચરો નાખીને તેના પર પ્રક્રિયા કરવા માટે બીજો પ્લાન્ટ ઊભો કરી શકાય તે તેનો પણ અભ્યાસ કરશું.
આ પણ વાંચો….ઉત્તન-વિરાર સી-લિંકનું કામ ફાસ્ટ ટ્રેક પર