ફાટી ગયેલા દસ્તાવેજોને કારણે 32 વર્ષ જૂના હત્યા કેસમાં પાંચ આરોપી નિર્દોષ…

થાણે: કેસ સંબંધી દસ્તાવેજો ગુમ છે અથવા તો ફાટી ગયેલી અવસ્થામાં છે અને તપાસકર્તા પક્ષ વિશ્વશનીય સાક્ષીઓ રજૂ કરવામાં પણ નિષ્ફળ ગયો હોવાનું નોંધીને કલ્યાણ સેશન્સ કોર્ટે પાંચ આરોપીને નિર્દોષ છોડી મૂક્યા હતા. એડિશનલ સેશન્સ જજ પી. એફ. સૈયદે આપેલા ચુકાદાની નકલ શુક્રવારે પ્રાપ્ત થઈ હતી.
તપાસકર્તા પક્ષ અનુસાર 16 ડિસેમ્બર, 1992ના રોજ સમ્રાટ અશોક નગરમાં લકી પ્રેમચંદ ભાટિયા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ભાટિયાનું મૃત્યુ થયું હતું. આ કેસમાં આરોપી તરીકે સુરેશ દિનાનાથ ઉપાધ્યાય, ગૌતમ મહાદેવ ગાયકવાડ, મોહિદ્દીન સિદ્દીકી ખાન, કનૈયા બસન્ના કોળી અને કુમાર ચેતુમલ નગરાણીનાં નામ હતાં.
પાંચેય આરોપી સામે ખટલો ચલાવવામાં આવ્યો હતો.
ખટલા દરમિયાન અનેક અવરોધ આવ્યા હતા. ખાસ કરીને દીર્ઘ વિલંબને કારણે આ અવરોધ ઊભા થયા હતા. જામીન પર છૂટ્યા પછી પાંચેય આરોપી કેસની સુનાવણીમાં ગેરહાજર રહેતા હતા. પરિણામે સપ્ટેમ્બર, 2024માં તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરન્ટ અને ભાગેડુ જાહેર કરતો આદેશ જારી કરવામાં આવ્યો હતો.
જજે નોંધ્યું હતું કે સાક્ષીદારોનાં નિવેદન અને આરોપનામા સહિતના મુખ્ય દસ્તાવેજો ફાટેલી અવસ્થામાં હતા. પોસ્ટમોર્ટમનો અહેવાલ પણ દસ્તાવેજોમાં નહોતો. ફરિયાદ પક્ષે માત્ર બે સાક્ષીદારની જુબાની લીધી હતી, પરંતુ તેમાંથી પણ એક વિશ્ર્વસનીય નહોતો. કારણ કે તેને પાર્કિન્સન્સની સમસ્યા હતી, એવું જજે નોંધ્યું હતું. (પીટીઆઈ)
આ પણ વાંચો…પુણેનો ગેન્ગસ્ટર પાસપોર્ટ મેળવીને વિદેશ જતો રહ્યો: પોલીસે તપાસ શરૂ કરી…