કલ્યાણમાં સંરક્ષક દીવાલ તૂટી પડતાં બાળકનું મોત: સ્કૂલના ડિરેક્ટરની ધરપકડ

થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં સ્કૂલની સંરક્ષક દીવાલ તૂટી પડતાં 11 વર્ષના બાળકનું મોત થયાના બીજે દિવસે પોલીસે સ્કૂલના ડિરેક્ટરની ધરપકડ કરી હતી.
સ્કૂલની આ સંરક્ષક દીવાલ જોખમી હતી અને રહેવાસીઓએ વારંવાર ચેતવણી આપ્યા છતાં તે તરફ સ્કૂલ દ્વારા દુર્લક્ષ કરવામાં આવ્યું હતું.
આ દીવાલને કારણે વિદ્યાર્થીઓના માથે જોખમ છે તે વિશે વાકેફ કરવા છતાં સ્કૂલના ડિરેક્ટરે કોઇ પ્રતિબંધાત્મક પગલાં લીધાં નહોતાં, એમ ટિટવાલા પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
આ પણ વાંચો: Thane: થાણેમાં કમ્પાઉન્ડ વોલ તૂટી પડતા ૨૦ ટૂ- વ્હીલરને નુકસાન
કલ્યાણ વિસ્તારમાં શુક્રવારે આ ઘટના બની હતી. બાળકોનું જૂથ બાજુની ગલીમાં રમી રહ્યું હતું ત્યારે સ્કૂલની સંરક્ષક દીવાલનો હિસ્સો તૂટી પડ્યો હતો, જેના કાટમાળ હેઠળ ત્રણ બાળક દબાઇ ગયા હતા.
આ ઘટનામાં અંશ સિંહ નામના બાળકનું મૃત્યુ થયું હતું, જે પાંચમા ધોરણનો વિદ્યાર્થી હતો, જ્યારે અન્ય બે જણને ઇજા થઇ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
દીવાલ અનધિકૃત હતી અને માળખાકીય રીતે મજબૂત નહોતી. તેમાં તિરાડો દેખાતી હતી અને સિમેન્ટ પ્લાસ્ટરિંગ બરોબર નહોતું, એમ જણાવી પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે સ્કૂલ આઠ વર્ષ પૂર્વે બંધાઇ હતી.
સ્કૂલના ડિરેક્ટર વિરુદ્ધ બેદરકારી દાખવી મૃત્યુ માટે કારણભૂત થવા અને માનવી જીવનને જોખમમાં મૂકવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પાલિકા દ્વારા દીવાલને હવે તોડી પાડવામાં આવી છે. દીવાલ પરવાનગી વિના બાંધવામાં આવી હતી, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)