અપહરણ બાદ સગીરા પર બળાત્કારના 2013ના કેસમાં યુવક નિર્દોષ જાહેર…

થાણે: થાણે જિલ્લાના કલ્યાણની ફાસ્ટ-ટ્રેક કોર્ટે 2013માં પંદર વર્ષની સગીરાનું અપહરણ અને તેની સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં 33 વર્ષના યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ સગીરાની તપાસ કરવામાં અને એ સમયે તે સગીર હતી એ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો હતો.
પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ એક્ટના વિશેષ જજ વી.એ. પતરાવલેએ 3 નવેમ્બરે રિતેશ ઘનશ્યામ રોહિદાસને નિર્દોષ જાહેર કર્યો હતો. સગીરાના પિતાએ 2013માં પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને દાવો કર્યો હતો કે તેની પુત્રીનું અપહરણ કરાયું છે અને પંદર હજાર રૂપિયાની ખંડણી માગવામાં આવી છે. આરોપીને ત્યાર બાદ તેના વતન ઉત્તર પ્રદેશથી પકડી પાડીને સગીરાનો છુટકારો કરાવાયો હતો.
જોકે કોર્ટે ફરિયાદી પક્ષના કેસમાં અનેક ખામીઓ તરફ ધ્યાન દોર્યું હતું. છોકરીના પિતાએ દાવો કર્યો હતો કે તે પંદર વર્ષની હતી, પણ તેની જન્મ તારીખ જણાવવામાં તે નિષ્ફળ ગયો હતો અને ફરિયાદ પક્ષે છોકરી સગીર હોવાનું સાબિત કરવા માટે કોઇ દસ્તાવેજ રજૂ કર્યો નહોતો. વધુમાં છોકરીની ક્યારેય તપાસ કરવામાં આવી નહોતી.
છોકરીના પિતાએ કોર્ટને કહ્યું હતું કે તે પરિણીત છે અને એમ કહીને તેને જુબાની માટે લાવવાનો ઇનકાર કર્યો હતો કે આમ કરવાથી તૈનું લગ્નજીવન નષ્ટ થઇ શકે છે. છોકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સાબિત કરવા માટે કોઇ ફોરેન્સિક પુરાવા નહોતા, એવું નોંધીને કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. (પીટીઆઇ)
આ પણ વાંચો…બળાત્કારના કેસમાં આરોપી બેકસૂર:સહમતીથી સંબંધ હોવાનું કોર્ટે નોંધ્યું…



