કલ્યાણમાં નવ મહિનાના દીકરાની હત્યાના કેસમાં પિતાને જનમટીપ

થાણે: કલ્યાણમાં 2013માં નવ વર્ષના માસૂમ દીકરાની હત્યા કરવાના કેસમાં સેશન્સ કોર્ટે પિતાને જનમટીપની સજા ફટકારી હતી. ચારિત્ર્ય પર શંકાને પગલે પત્ની અને અન્ય બે સંતાન પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાથી તેમની હત્યાના પ્રયાસ બદલ કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો.
એડિશનલ સેશન્સ જજ એસ. જી. ઈનામદારે શુક્રવારે આપેલા ચુકાદામાં નોંધ્યું હતું કે ફરિયાદી પક્ષ આરોપી સુનીલ સદાશિવ પાતાડે વિરુદ્ધ લગાવવામાં આવેલા બધા આરોપ સિદ્ધ કરવામાં સફળ રહ્યો છે.
આરોપી પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો, જેને પગલે તેણે ઘાતકી પગલું ભર્યું હતું. સાતમી માર્ચ, 2013ની રાતે કલ્યાણ ખાતેના નિવાસસ્થાને પત્ની અને ત્રણ સંતાન સૂતાં હતાં ત્યારે આરોપીએ તેમના પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં આરોપીના નવ વર્ષના દીકરાનું મૃત્યુ થયું હતું, જ્યારે પત્ની અને બે સંતાન ગંભીર રીતે ઘવાયાં હતાં, એવું તપાસકર્તા પક્ષે જણાવ્યું હતું.
આ પ્રકરણે મહાત્મા ફુલે ચોક પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ) અને 324 (શસ્ત્ર અથવા વસ્તુથી ગંભીર ઇજા પહોંચાડવી) હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
આપણ વાચો: થાણે કોર્ટે પત્નીની હત્યાના કેસમાં પતિને નિર્દોષ જાહેર કર્યો…
આ કેસમાં કોર્ટે પુત્રની હત્યા માટે પાતાડેને જનમટીપ અને પરિવારના અન્ય સભ્યોની હત્યાના પ્રયાસના આરોપમાં 10 વર્ષની જેલની સજા સંભળાવી હતી. બન્ને સજા આરોપીએ સાથે ભોગવવાની રહેશે.
કોર્ટે આરોપીને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો અને આ રકમ વળતર તરીકે આરોપીની પત્નીને ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા. (પીટીઆઈ)



