મહાયુતિમાં થોડા દિવસ માટે પ્રધાન બનવા પડાપડી: કોણ બોલ્યું?

મુંબઈ: વિધાનસભાની ચૂંટણી (Assembly Election)ને થોડા જ મહિનાની વાર છે અને સત્તાધારી પક્ષ તેમ જ વિપક્ષ તેની તડામાર તૈયારીઓમાં લાગેલો છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના પ્રધાન મંડળ વિસ્તારની તૈયારી પણ શરૂ છે. જોકે વિપક્ષે પ્રધાન મંડળના વિસ્તાર બાબતે સરકારને નિશાન પર લીધી છે.
શરદચંદ્ર પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)ના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે આ મુદ્દે ટીકા કરતા જણાવ્યું હતું કે વિધાનસભ્યોને ખબર છે કે તેમની સરકાર પાછી આવવાની નથી એટલે ઓછામાં ઓછા થોડા દિવસો માટે તો અમને પ્રધાન બનાવો તેવું અનેક લોો કહી રહ્યા છે.
આ પણ વાંચો: મહાયુતિની ‘લાડકી’, મહાવિકાસ આઘાડીની ‘ઓરમાઇ’
તેમણે પ્રધાન મંડળનો વિસ્તારથી થવાનો તેવો દાવો કરતા જણાવ્યું હતું કે આ છેલ્લી તક છે એટલે ઘણા જ વિધાનસભ્યો પ્રધાન બનવાનું તેમનું સપનું ઓછામાં ઓછું બે મહિના માટે પૂરું થાય તેવું ઇચ્છે છે. એટલે અમુક અસંતોષી આત્માઓને સંતોષ મળે એ માટે મહાયુતિની સરકારનો આ અંતિમ પ્રયાસ છે. કારણ કે મહાયુતિની સરકાર પાછી આવશે કે નહીં તેની કોઇ ખાતરી નથી.
બીજી બાજુ પ્રધાન મંડળનો વિસ્તાર થવાનો નથી એવા અહેવાલોને રદિયો આપતા શિંદે જૂથના નેતા સંજય શિરસાટે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોતે કહ્યું છે કે પ્રધાન મંડળનો વિસ્તાર થશે તેનો અર્થ છે કે પ્રધાન મંડળનો વિસ્તાર થશે જ. જોકે, એ ક્યારે થશે તે વિશે અમે કંઇ બોલી શકીએ નહીં.