રસ્તા પરના ખાડા નાના હોય ત્યારે જ ભરો: કમિશનર
૨૨૭ વોર્ડમાં ખાડા શોધીને તેને ભરવાનું કામ ૨૨૭ એન્જિનિયરો કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ચોમાસામાં રસ્તા પર ખાડા પડવાનું નક્કી જ હોવાનું જાણનારી મુંબઈ મહાનગર પાલિકાએ રસ્તા પરના ખાડા શોધીને તેને પૂરવાની જવાબદારી ૨૨૭ વોર્ડમાં નીમેલા ૨૨૭ એન્જિનિયરોને માથે નાખી દીધી છે. તેમ જ ખાડા પૂરવા માટે કૉન્ટ્રેક્ટરને પણ પાલિકાએ નીમી દીધા છે. આ દરમ્યાન રસ્તા પર ખાડા નાના હોય ત્યારે જ તેને પૂરી નાખવા તે મોટા થાય તેની રાહ જોવી નહીં એવી સ્પષ્ટ શબ્દોમાં પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ ચેતવણી પણ તમામ અધિકારીઓને આપી છે.
મુંબઈના તમામ રસ્તાઓ સિમેન્ટ-કૉંક્રીટના બનાવવામાં આવી રહ્યા છે, છતાં હજી અનેક રસ્તાઓ ડામરના છે. ચોમાસામાં આ રસ્તા પર ખાડા પડવાના છે, તેને ભરવા માટે પાલિકાએ ટેન્ડર બહાર પાડીને કૉન્ટ્રેક્ટર પણ નીમી દીધા છે અને પ્રત્યક્ષમાં કામ પણ ચાલુ થઈ ગયું છે. આ દરમ્યાન પાલિકાએ મુંબઈના તમામ ૨૨૭ વોર્ડમાં સબ એન્જિનિયરોને નીમ્યા છે અને તેમને દરરોજ તેમના વોર્ડમાં સ્કૂટર પર ફરીને ખાડા શોધીને તેને ભરવાનો નિર્દેશ પાલિકા કમિશનરે આપ્યો છે. ખાડા નાના હોય ત્યારે જ તેને ભરી નાખવા આ ખાડા ચાળણી જેવા મોટા થાય ત્યાં સુધી તેને પૂરવાની રાહ જોવી નહીં એવી સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ કમિશનરે અધિકારીઓને આપી હતી.
એડિશનલ કમિશનર (પ્રોજેક્ેટ) અભિજિત બાંગરે જણાવ્યું હતું કે કૉંક્રીટાઈઝેશનને કારણે રસ્તાઓ પર ખાડાની સંખ્યા ધીમે ધીમે ઓછી થઈ રહી છે. ભવિષ્યમાં ચોક્કસ તેમાં ઘટાડો થશે. ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫ની સાલમાં પ્રતિવર્ષે ખાડા ભરવા માટેના ખર્ચમાં મોટો ઘટાડો થયો છે. વાહનચાલકોને ચોમાસામાં રસ્તા પરના ખાડાને કારણે ત્રાસ થાય નહીં તે માટે રોડ વિભાગની આખી ટીમને રસ્તાની દેખરેખ અને સમારકામ માટે સતત ફીલ્ડ પર રહેવું પડશે. તેમ જ ખાડા પૂરવાના કામ કરતા સમયે જુદા જુદા ડિપાર્ટમેન્ટ આપસમાં સમન્વય રાખવાનો રહેશે.
સોમવારે રસ્તા પર ખાડાના મુદ્દે પાલિકાના મુખ્યાલયમાં બેઠક થયા બાદ અભિજિત બાંગરે જણાવ્યું હતું કે ૨૨૭ વોર્ડના સબ એન્જિનિયર પાસે ૧૦થી ૧૫ કિલોમીટરના રસ્તાની જવાબદારી રહેશે. ફકત ઓફિસમાં બેસી નહીં રહેતા તેમને ફિલ્ડ પર જઈને કામ કરવાનું રહેશે. ફીલ્ડ પર સતત જઈને ખાડા શોધીને તેને ભરવાના રહેશે. બે દિવસે એક વખત ટુ વ્હીલર પર જઈને રસ્તાનું નિરીક્ષણ કરીને તાત્કાલિક તેને ભરવાના રહેશે. ખાડા ભરવાનું કામ આખું અઠવાડિયું ચાલશે છતાં શનિવાર અને રવિવારની રજાને દિવસે વધુ ઝડપથી કામ કરવાના રહેશે, કારણકે આ દિવસે રસ્તા પર વાહનોની ભીડ ઓછી રહેતી હોય છે.
આ પણ વાંચો….રાહુલ ગાંધીના દાવા પર ફડણવીસના પ્રતિકારને સપકાળે ‘ધ્યાન વિચલિત કરવાના ધમપછાડા’ ગણાવ્યા