આમચી મુંબઈમહારાષ્ટ્ર

બનાવટી દવાના રેકેટનો પર્દાફાશ: નાગપુરની હોસ્પિટલમાંથી 20,600 એન્ટિબાયોટિક ટેબ્લેટ્સ જપ્ત

નાગપુર: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના અધિકારીઓએ બનાવટી દવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને નાગપુરની સરકારી હોસ્પિટલમાંથી 20,600 ટેબ્લેટ્સ જપ્ત કરી હતી, જેને એન્ટિબાયોટિક સિપ્રોફ્લોક્સાસીન તરીકે બતાવવામાં આવી હતી.

થાણેના રહેવાસી સહિત ત્રણ જણ વિરુદ્ધ આ પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્રણેય જણ આવા જ કેસમાં હાલ જેલમાં છે.

એફડીએના અધિકારીએ કહ્યું હતું કે ગયા વર્ષે સરકારી કરાર પ્રક્રિયા દ્વારા દવા ખરીદવામાં આવી હતી, જે તાજેતરમાં ઇન્દિરા ગાંધી ગવર્ન્મેન્ટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતેથી જપ્ત કરવામાં આવી હતી, જે જિલ્લામાં સરકાર સંચાલિત હોસ્પિટલોને દવા સપ્લાય કરે છે.

કરોડો રૂપિયાની સિપ્રોફ્લોક્સાસીનની બનાવટી ટેબ્લેટ્સ મહારાષ્ટ્રમાં ઘણી સરકારી હોસ્પિટલોમાં સપ્લાય કરવામાં આવી હતી.

માર્ચ, 2023માં એફડીએ દ્વારા કલમેશ્ર્વર તહેસીલમાં સરકાર સંચાલિત હોસ્પિટલમાંથી ટેબ્લેટ્સના નમૂના લેવામાં આવ્યા હતા અને તેને તપાસ માટે મુંબઈની સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેનો અહેવાલ ડિસેમ્બર, 2023માં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે ટેબ્લેટ્સનું કોઇ ઔષધીય મૂલ્ય નથી, કારણ કે તેમાં સિપ્રોફ્લોક્સાસીનના તત્ત્વો નથી.

નાગપુરની ઇન્દિરા ગાંધી ગવર્ન્મેન્ટ મેડિકલ એન્ડ હોસ્પિટલ દ્વારા આ ટેબ્લેટ્સ સપ્લાય કરવામાં આવી હોવાથી એફડીએના અધિકારીઓએ તાજેતરમાં ત્યાંના સ્ટોરમાં રેઇડ પાડી હતી અને એ જ બ્રાન્ડની 20,600 ટેબ્લેટ્સ જપ્ત કરી હતી.
તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે આ દવા ‘રિફાઇન્ડ ફાર્મા, ગુજરાત’ નામની બોગસ કંપની દ્વારા બનાવવામાં આવી હતી. ‘કંપની અસ્તિત્વમાં નથી,’ એમ અધિકારીએ કહ્યું હતું.

કલમેશ્ર્વર પોલીસે આ પ્રકરણે થાણેના શૈલેન્દ્ર ચૌધરી, લાતુરના હેમંત મુળે અને ભિવંડીના મિહિર ત્રિવેદી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. બનાવટી દવા વેચવાના કેસમાં ચૌધરી અગાઉથી જેલમાં છે. તેણે ટેબ્લેટ્સ ત્રિવેદીને આપી હતી. (પીટીઆઇ)

ભિવંડીના ગોદામમાંથી દવા બનાવવા માટેનો 44 લાખનો કાચો માલ ચોરાયો: ગુનો દાખલ

થાણે: થાણે જિલ્લામાં ફાર્માસ્યુટિકલ કંપનીઓને માલ સપ્લાય કરતા ફર્મના ભિવંડીના ગોદામમાં દવા બનાવવા માટે રાખેલો રૂ. 44 લાખની કિંમતનો કાચો માલ ચોરાયો હતો, જેને પગલે પોલીસે અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

નારપોલી પોલીસ સ્ટેશનમાં શુક્રવારે આ પ્રકરણે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. રહનાલ વિસ્તારમાં આવેલા ગોદામમાં 16 ડ્રમમાં આ કાચો માલ રાખવામાં આવ્યો હતો અને ઓક્ટોબર તથા નવેમ્બર, 2023 દરમિયાન તે ચોરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

ફાર્માસ્યુટિકલ કંપનીને આમાંના 13 ડ્રમ સપ્લાય કરવામાં આવ્યા હતા અને બાદમાં જાણવા મળ્યું હતું કે ક્ધટેઇનર સાથે ચેડાં કરાયા હતા અને તેમાંનો સ્ટોક બદલી દેવાયો હતો. (પીટીઆઇ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning