કરાડના એન્કાઉન્ટરનો કોન્ટ્રાક્ટ અપાયાનો દાવો કરનારા બરતરફ અધિકારીની દિલ્હીમાં ધરપકડ

મુંબઈ: સરપંચ સતોષ દેશમુખની હત્યાના કેસના મુખ્ય આરોપી વાલ્મિક કરાડનું એન્કાઉન્ટર કરી નાખવાનો પોતાને ‘કોન્ટ્રાક્ટ’ અપાયાનો દાવો કરનારા સબ-ઈન્સ્પેક્ટર રણજીત કાસલેને પોલીસ દળમાંથી બરતરફ કરવામાં આવ્યા પછી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી કાસલેની ધરપકડ કરી હતી.
પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે કથિત કોમી વિખવાદ સર્જવો અને વાંધાજનક માહિતી સોશિયલ મીડિયા પર જાહેર કરીને સરકારી અધિકારીઓને બદનામ કરવાના આરોપસર કાસલેને શુક્રવારે દિલ્હીથી તાબામાં લેવાયો હતો.
આપણ વાંચો: આસામમાં 171 ફેક એન્કાઉન્ટરનો આરોપ: સુપ્રીમ કોર્ટે માનવાધિકાર પંચને તપાસ સોંપી…
ધરપકડ પછી તેને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને બીજી જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. બરતરફ કરાયો તે પહેલાં કાસલેની પોસ્ટિંગ બીડ જિલ્લામાં હતી.
એક સામાજિક કાર્યકરની ફરિયાદને આધારે ભાંડુપ પોલીસે કાસલે વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ખોટી માહિતી જાહેર કરી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવા સહિત બદનામી અને મહિલાનો વિનયભંગ કરવાની ભારતીય ન્યાય સંહિતાની કલમો અને આઈટી ઍક્ટની જોગવાઈ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો.
આપણ વાંચો: યુપી પોલીસની ઓપરેશન લંગડા હેઠળ ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી, 24 કલાકમાં 10 એન્કાઉન્ટર
કાસલેએ હાલમાં જ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકી હતી, જેમાં તેણે ઓબીસી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. કાસલે વિરુદ્ધ મુંબઈ સહિત બીડ જિલ્લામાં પણ ગુના નોંધાયેલા છે.
કાસલેએ અગાઉ ભૂતપૂર્વ પ્રધાન ધનંજય મુંડે અને તેમના નિકટવર્તી વાલ્મિક કરાડ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. કાસલેએ દાવો કર્યો હતો કે એન્કાઉન્ટરમાં કરાડનું ઢીમ ઢાળી દેવાનો તેને ‘કોન્ટ્રાક્ટ’ અપાયો હતો.
છત્રપતિ સંભાજીનગર રેન્જના ઈન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસે એપ્રિલ મહિનામાં કાસલેને પોલીસ સેવામાંથી પાણીચું આપ્યું હતું. (પીટીઆઈ)