શપથ ગ્રહણ પહેલા એકનાથ શિંદેની તબિયત લથડી, થાણેની હૉસ્પિટલમાં થયા દાખલ

થાણેઃ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કાર્યકારી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તબિયત લથડી છે. એવા અહેવાલ છે કે તેમને થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. શિંદે રવિવારે જ પોતાના ગામથી પરત ફર્યા હતા.
મહારાષ્ટ્રના કેરટેકર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેમને મહારાષ્ટ્રના થાણેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ડૉક્ટરોએ તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણ તપાસ કરવાની સલાહ આપી છે. શિંદે છેલ્લા કેટલાક દિવસથી અઠવાડિયાથી ગળામાં ઈન્ફેક્શન અને તાવથી પીડિત છે.
શિંદે શુક્રવારે પણ તાવથી પીડાતા હતા ત્યાર બાદ એવા અહેવાલો આવ્યા હતા કે નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આરામ કરવા તેમના ગામ સાતારા ગયા હતા. જોકે, તે સમયે એવી અટકળોએ જોર પકડ્યું હતું કે નવી સરકારમાં તેમને મળનારી ભૂમિકાથી તેઓ ખુશ નથી. ગામથી પરત ફરતી વખતે તેમણે જણાવ્યું હતું કે તેઓ હવે ઠીક છે, પણ હજી થોડા આરામની જરૂર છે. જોકે, ગામમાંથી આવીને આરામ કર્યા બાદ પણ તેમની તબિયતમાં કોઇ દેખીતો સુધારો ના થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરે તેમનેફૂલ બોડી ચેકઅપની સલાહ આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તપાસ માટે તેમને થોડો સમય હોસ્પિટલમાં દાખલ રહેવું પડી શકે છે.
આ પણ વાંચો…NCP વિધાન સભ્યના સમર્થકોએ કેમ રદ કરવી પડી બેલેટ પેપરથી ચૂંટણી?
દરમિયાન, 5 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં નવી મહાયુતિ સરકારના શપથ ગ્રહણ સમારોહ માટે મુંબઈના આઝાદ મેદાનમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી અપેક્ષા છે.
ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન પદ માટેની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે, પરંતુ મહાયુતિ ગઠબંધને હજી સુધી મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરી નથી. દરમિયાન 4 ડિસેમ્બરે રાજ્ય ભાજપ વિધાનસભ્ય દળની બેઠક યોજાવાની છે.