એકનાથ ખડસે શરદ પવારની પાર્ટીમાં જ રહેશે…

જળગાંવ (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન એકનાથ ખડસેએ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં ફરી જોડાવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે તેઓ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારના નેતૃત્વ હેઠળની પાર્ટીમાં જ રહેશે. ભાજપમાં મારા ફરીથી જોડાવાનો વિષય પૂરો થઈ ગયો છે. હું એનસીપી (એસપી)માં છું અને ત્યાં જ રહીશ,’ એમ 73 વર્ષના ખડસેએ ઉત્તર મહારાષ્ટ્રના તેમના ગૃહ જિલ્લા જળગાંવમાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ કહ્યું હતું, જ્યાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.
કાર્યક્રમમાં ફડણવીસને ન મળવાનું કારણ પૂછવામાં આવતા ખડસેએ કહ્યું હતું કે, ‘આ કોઈ સુનિશ્ર્ચિત મુલાકાત નહોતી. મેં તેમની સાથે મુલાકાતનો સમય પણ માગ્યો નહોતો.’ ખડસે ઓક્ટોબર 2023માં ભાજપ છોડીને અવિભાજિત એનસીપીમાં જોડાયા હતા. લગભગ ચાર દાયકા પછી ભગવા પક્ષમાંથી તેમની વિદાય ફડણવીસ સાથેના અણબનાવને કારણે થઈ હોવાનું કહેવાય છે.
જૂન 2016માં, એમઆઈડીસી જમીન સોદામાં ભ્રષ્ટાચારના આરોપો બાદ ખડસેએ ફડણવીસની આગેવાની હેઠળની રાજ્ય સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. ગયા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ પ્રમુખ જેપી નડ્ડાને મળ્યા બાદ ખડસે ફરી ભાજપમાં જોડાશે તેવી ચર્ચા હતી
આપણ વાંચો : શરદ પવારે કહ્યું કે એમવીએના સભ્યો સાથે મળીને પાલિકા ચૂંટણી લડવા પર ચર્ચા કરાશે…