મુંબઈની ‘લાઇફલાઇન’માં દશેરા પર્વની ઉજવણી: પ્રવાસીઓને મોજ
![Dussehra celebrations at Mumbai's Lifeline in 2023](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/Mumbai-Samachar-by-Dhiraj-2023-10-23T151119.619.jpg)
મુંબઈ: મુંબઈ પંચરંગી લોકોની નગરી ગણાય છે, તેથી જ મુંબઈની લોકલ ટ્રેનમાં તેની છાંટ અચૂક જોવા મળે છે. તહેવારોની ઉજવણી મુંબઈની લોકલ ટ્રેનમાં પણ અચૂક કરવામાં આવે. મુંબઈગરાની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં આજે પણ પ્રવાસીઓએ દશેરા પર્વની હોંશે હોંશે ઉજવણી કરી હતી, જેમાં લોકોએ ટ્રેનમાં પૂજા પાઠ કરીને મીઠાઈની વહેચણી કરી હતી.
લોકલ ટ્રેનના મોટરમેન દ્વારા ટ્રેનની પૂજા કરી હતી. એના સિવાય, મધ્ય અને પશ્ચિમ રેલવેમાં અનેક ગ્રુપ દ્વારા લોકલ ટ્રેનમાં હાર તોરા કરીને પ્રવાસીઓએ ગરબા ગાઈને મોજ કરી હતી. અગાઉ ગરબાની મોજ કરવા સાથે આજે સવારે મધ્ય રેલવેમાં કલ્યાણ-સીએસએમટી એસી લોકલમાં પ્રવાસીઓના એક ગ્રુપે ટ્રેનને અંદરથી શણગારી હતી અને માતાજીની આરતી કરવા સાથે લોકો માતાજીના ગરબાના તાલે ઝૂમ્યા હતા. આ અંગે ગ્રુપના અતુલ ધરમશીએ કહ્યું હતું કે અમે લોકોએ આજે દશેરાની એડવાન્સમાં ઉજવણી કરી હતી. આજે સવારે 8.56 કલ્યાણ CSMT ટ્રેનમાં પ્રવાસ કરનારાનું પચાસથી લોકોનું ગ્રૃપ છે, જેમાં આજે મોટાભાગના લોકો હાજર રહીને દશેરાની ઉજવણી કરી હતી. એસી લોકલ સિવાય નોન એસી લોકલમાં પણ પ્રવાસીઓએ ટ્રેનમાં મસ્ત મજાની શણગારીને લોકોએ માતાજીના ગરબાના તાલે ઝૂમીને મોજ કરી હતી.
મુંબઈની લોકલ ટ્રેનમાં રોજના 60 લાખથી વધુ લોકો પ્રવાસ કરે છે, જ્યારે ત્રણ હજારથી વધુ લોકલ ટ્રેનની સર્વિસ દોડાવાય છે. રોજ લોકો સુખરૂપ મુસાફરી કે અવરજવર કરે તેના માટે લોકો ભગવાનની ભક્તિ કરે એમાં કંઈ ખોટું નથી, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.