BMC ચૂંટણી પહેલા મહાયુતિમાં તિરાડ? ફડણવીસના નિવેદન પર અજિત પવાર નારાજ

મુંબઈઃ મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)ની ચૂંટણીઓને લઈને મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. આ દરમ્યાન શાસક મહાયુતિનાં બે નેતાઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વચ્ચે નારાજગી જોવા મળી રહી છે. અજિત પવારે મુખ્ય પ્રધાનના એક નિવેદનને સાંપ્રદાયિક કહીને ટીકા કરી અને કહ્યું હતું કે પોતે ધર્મનિરપેક્ષ છે.
અજિત પવારે કહ્યું કે, ભારત જેવા વિવિધતાપૂર્ણ દેશમાં દરેક નાગરિક સમાન છે. એક ઇન્ટરવ્યૂ દરમ્યાન અજિત પવારે કહ્યું કે મને આ પસંદ નથી મારા વિચારો ધર્મ નિરપેક્ષ છે. બાબાસાહેબ આંબેડકરની વિચારધારા આપણને આ નથી શીખવતી. મને એટલી જ ખબર છે કે આપણો દેશ ઘણો મોટો છે અને જે લોકો આ દેશમાં રહે છે એ બધા ભારતીય છે.
અજિત પવારે આગળ કહ્યું કે, જો કોઈ દેશ સાથે ગદ્દારી કરે છે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ અને તેને મૃત્યુદંડની સજા થવી જોઈએ,એની માટે એક નવો કાયદો બનવો જોઈએ. સાથે જ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની વિચારધારા વિશે બોલતા તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિને પોતાનું કામ બતાવવાનો અને કરવાનો મોકો મળવો જોઈએ. બાબાસાહેબે સંવિધાનમાં આ જ વાત કહી છે.
તમને જણાવી દઈએ કે, અજિત પાવરનું આ નિવેદન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના એ નિવેદનના એક દિવસ પછી આવ્યું છે, જેમાં એમણે કહ્યું હતું કે બીએમસીનો મેયર “મહાયુતિનો હશે અને એક હિન્દુ હશે અને મરાઠી હશે. વિપક્ષના મરાઠી માણુસ જોખમમાં હોવાના દાવાઓનો જવાબ આપતા ફડણવીસે કહ્યું હતું કે મરાઠી માણુસ નહીં પણ કેટલીક રાજકીય તાકાતોનું અસ્તિત્વ જોખમમાં છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, મહારાષ્ટ્ર બધા મરાઠીઓનું છે,કોઈ એક સમાજનું નથી.
આ પહેલા જયારે પુણે નગર નિગમની ચૂંટણી વખતે એનસીપી પ્રમુખે પોતાની પાર્ટીના ઘોષણાપત્રમાં મેટ્રોમાં મફત યાત્રાની ઘોષણા કરી હતી,ત્યારે દેવેન્દ્ર ફડનવીસે અજિત પવારનું નામ લીધા વિના ટીકા કરી હતી અને કહ્યું હતું કે,જેને જે વાયદા કરવા હોય, એ કરી રહ્યા છે પરંતુ એ વાયદા ક્યારેય વાસ્તવિક નથી હોતા.
આપણ વાંચો: મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી: મતદાનના સમયમાં 1 કલાકનો ઘટાડો, જાણો કારણો?



