હિસ્સેદારો સાથે વાતચીત બાદ ત્રણ ભાષાના ફોર્મ્યુલા પર અંતિમ નિર્ણય: ફડણવીસ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે હિન્દી ફરજિયાત નહીં હોય, પરંતુ હિન્દી સિવાયની કોઈપણ ભારતીય ભાષાનો અભ્યાસ કરવા માટે શાળામાં દરેક ધોરણમાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓની સંમતિ ફરજિયાત છે. ફડણવીસે એમ પણ કહ્યું હતું કે વ્યાપક પરામર્શ પછી ત્રણ ભાષાના ફોર્મ્યુલા પર નિર્ણય લેવામાં આવશે. મરાઠી, અંગ્રેજી માધ્યમની શાળાઓમાં હિન્દી ‘સામાન્ય રીતે’ ત્રીજી ભાષા તરીકે પ્રસ્તાવિત છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે ત્રણ ભાષાના ફોર્મ્યુલા પર અંતિમ નિર્ણય સાહિત્યકારો, ભાષા નિષ્ણાતો અને રાજકીય નેતાઓ સહિત તમામ હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા પછી જ લેવામાં આવશે. ફડણવીસે સોમવારે મોડી રાત્રે દક્ષિણ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને આ મુદ્દા પર ચર્ચા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. રાજ્ય સરકારે ગયા અઠવાડિયે એક સુધારેલો આદેશ જારી કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે ધોરણ પહેલાથી પાંચમા સુધી મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં વિદ્યાર્થીઓને હિન્દી ‘સામાન્ય રીતે’ ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવશે.
સરકારે જાળવી રાખ્યું હતું કે હિન્દી ફરજિયાત રહેશે નહીં, પરંતુ હિન્દી સિવાયની કોઈપણ ભારતીય ભાષાનો અભ્યાસ કરવા માટે શાળામાં દરેક ધોરણમાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓની સંમતિ ફરજિયાત રહેશે. સોમવારે મુખ્યમંત્રી ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી બેઠક દરમિયાન, નવી શિક્ષણ નીતિ (એનઈપી) હેઠળ ત્રિભાષી નીતિના પરિણામો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાનની કચેરી તરફથી એક નિવેદનમાં જણાવાયું છે કે વિવિધ રાજ્યોમાં વર્તમાન જમીની હાલત સંદર્ભ માટે રજૂ કરવામાં આવશે અને શૈક્ષણિક અસર પર, ખાસ કરીને મરાઠી વિદ્યાર્થીઓના સંદર્ભમાં, એક વ્યાપક રજૂઆત કરવામાં આવશે.

ફડણવીસે નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અંતિમ નિર્ણય પર પહોંચતા પહેલા વિદ્વાનો, લેખકો, રાજકીય નેતાઓ અને અન્ય હિસ્સેદારો સાથે માળખાગત પરામર્શ પ્રક્રિયા હાથ ધરવા પર સંમતિ વ્યક્ત કરવામાં આવી હતી. મીટિંગ પછી શાળા શિક્ષણ પ્રધાન દાદા ભૂસે પરામર્શનો આગામી તબક્કો શરૂ કરે તેવી અપેક્ષા છે, એમ પણ નિવેદનમાં જણાવાયું છે. બેઠક પછી, ભૂસેએ પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર એનઈપીના અમલીકરણ અંગેની ચિંતાઓને દૂર કરવા માટે રાજકીય નેતાઓ અને સાહિત્યકારો સહિત વિવિધ હિસ્સેદારો સાથે ચર્ચા કરશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપીને બધા નિર્ણયો લેવામાં આવ્યા છે. અમે બધા સંબંધિતો સાથે વાતચીત કરીશું, પછી ભલે તે (મનસેના વડા) રાજ ઠાકરે હોય કે જાણીતા લેખકો. અમે તેમની સમક્ષ તમામ હકીકતો મૂકીશું અને સમજાવીશું કે નીતિનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી અમલ કરવામાં આવ્યો છે, જેથી ખાતરી કરી શકાય કે અમારા વિદ્યાર્થીઓ પાછળ ન રહે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) ના વડા રાજ ઠાકરેએ ગયા અઠવાડિયે પૂછ્યું હતું કે વિદ્યાર્થીઓ પર હિન્દી ‘લાદવાની’ શું જરૂર હતી અને રાજ્યની શાળાઓને અપીલ કરી હતી કે સરકારના ‘ભાષાકીય વિભાજન બનાવવાના છુપાયેલા એજન્ડા’ને નિષ્ફળ બનાવવામાં આવે. આ અગાઉ, સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે સોમવારે સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યમાં હિન્દી નહીં પણ ફક્ત મરાઠી ફરજિયાત છે, અને કહ્યું હતું કે શાળાઓમાં ત્રીજી ભાષા શીખવવા અંગે ચાલી રહેલ વિવાદ ગેરવાજબી અને અતાર્કિક’ છે. ‘અમે મરાઠી ભાષાના કટ્ટર સમર્થક છીએ અને વિદ્યાર્થીઓના હિત માટે એટલા જ પ્રતિબદ્ધ છીએ,’ એમ શેલારે કહ્યું હતું, જેઓ મુંબઈ ભાજપ પ્રમુખ પણ છે.
આપણ વાંચો : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કાનૂની નોટિસ, શું છે મામલો?