મૃત ફાયરબ્રિગેડના જવાનને વળતરને આપવાની માગણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે શહેરમાં ગયા અઠવાડિયે ફરજ દરમ્યાન વીજળીનો કરંટ લાગતા મૃત્યુ પામેલા ફાયર ફાઈટરના પરિવારને નાણાકીય વળતર આપવાની વિનંતી લેબર યુનિયને કરી છે.
લેબર યુનિયને થાણે મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ૧૨ ઓક્ટોબરના રોજ દિવા-શીલ રોડ પર ઓવરહેડ વાયરમાં ફસાયેલા કબૂતરને બચાવતી વખતે ફાયર ફાઈટર ઉત્સવ પાટિલ અને તેના સાથીદારને વીજળીનો કરંટ લાગ્યો હતો. ફરજ બજાવતી વખતે બંનેને વીજળીનો આંચકો લાગીને તેઓ ગંભીર રીતે જખમી થયા હતા.
આપણ વાંચો: ભારતની પ્રથમ ફાયર ફાઈટર હર્ષિની કાન્હેકર
ઉત્સવ પાટિલને કલવાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પણ સારવાર અગાઉ જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ફાયર ફાઈટરને હાથ અને છાતીમાં ઈજા થઈ હોવાનું યુનિયનના કાર્યકારી પ્રમુખ મોહન તિવારીએ જણાવ્યું હતું.
યુનિયને ઉત્સવ પાટીલના પરિવારને આર્થિક વળતર આપવાની માગણી કરી હતી. તેમ જ તેના પરિવારના સભ્યને કાયમી સ્વરૂપે નોકરી આપવાની માગણી કરી હતી. તો હાલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા જખમી ફાયર ફાઈટરને તમામ પ્રકારની એડવાન્સ મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની માગણી કરવામાં આવી હતી.