20 પક્ષો ભેગા થાય તો પણ ડર્યા નહોતા, અમે જ જીતીશું બાવનકુળેનો ઠાકરે ભાઈઓની યુતિ પર હુમલો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઈન્ડી આઘાડીના 20 પક્ષો લોકસભાની ચૂંટણીમાં ભેગા થયા હતા. ત્યારે પણ, અમે ડર્યા નહોતા. ગમે તેટલા લોકો આવે, અમે જ જીતીશું, એમ રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ઠાકરે ભાઈઓની યુતિ વિશે વાત કરતા કહ્યું હતું. બાવનકુળેએ કહ્યું હતું કે મોટા પ્રમાણમાં લોકો ભેગા થાય ત્યારે તેઓ ક્યારેય ચૂંટણી જીતતા નથી, તેથી અમારે માટે તેમાં કોઈ મૂંઝવણ જેવી સ્થિતિ નથી.
પાલિકાની ચૂંટણીનું રણશિંગુ વાગી ગયું છે. આ પૃષ્ઠભૂમિમાં, રાજકીય ગતિવિધિઓએ વેગ પકડ્યો છે. પાલિકાની ચૂંટણીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અજિત પવાર જૂથે ભૂતપૂર્વ પ્રધાન નવાબ મલિકને મુંબઈની જવાબદારી સોંપી છે. એવી ચર્ચા છે કે શિવસેના અને ભાજપ આનાથી નાખુશ છે. મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નિર્ણયથી અમે નાખુશ નથી, આ તેમની પાર્ટીનો નિર્ણય છે.
એનસીપી સાથે મૈત્રીપૂર્ણ લડાઈ
એનસીપી દ્વારા મુંબઈમાં નવાબ મલિકને જવાબદારી આપ્યા બાદ ભાજપ અને શિવસેના નારાજ થયા હોવાના મુદ્દા પર બોલતા, બાવનકુળેએ કહ્યું કે અમે નારાજ નથી, તેઓ તેમની પાર્ટીનો નિર્ણય લેશે. એનસીપીનો અંતિમ નિર્ણય અજિતદાદા લેશે. તેથી, નવાબ મલિકને પસંદ કરવાના નિર્ણય પર અમને બોલવાનો કોઈ અધિકાર નથી. અમે નારાજ નથી, અમે ચોક્કસ મૈત્રીપૂર્ણ લડાઈ કરીશું, એમ બાવનકુળેએ કહ્યું હતું.



