મહાયુતિની બેઠકોની વહેંચણી ત્રણ દિવસમાં ફાઈનલ: બાવનકુળે…

મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ શુક્રવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં સત્તાધારી ‘મહાયુતિ’ની આગામી વિધાનસભા માટેની બેઠકોની વહેંચણી આગામી ત્રણ દિવસમાં ફાઈનલ કરી નાખવામાં આવશે.
આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ વિકાસ ભંડોળ રોકે છે: અનિલ દેશમુખનો આરોપ
ભાજપ ઉપરાંત, મહારાષ્ટ્રની સત્તાધારી ‘મહાયુતિ’માં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીનો સમાવેશ થાય છે.
વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો હોવાથી આગામી મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે.
‘અમે બેઠકોની વહેંચણી પર ચર્ચા કરી રહ્યા છીએ અને પછી (ભાજપની) સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 13 ઓક્ટોબરના રોજ થવાની છે, એવી માહિતી બાવનકુળેએ પત્રકારોને આપી હતી.
90 ટકા બેઠકોની વહેંચણી પર વાટાઘાટો પૂર્ણ થઈ ગઈ છે. બાકીની 10 ટકા બેઠકોની ચર્ચા આગામી ત્રણ દિવસમાં પૂર્ણ થશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપના સંસદીય બોર્ડની બેઠક બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તે બેઠકોની જાહેરાત કરશે કે જેના પર તેઓ તેમના ઉમેદવારો ઉભા કરશે.
બાવનકુળેએ કહ્યું હતું કે, પહેલાની જેમ ભાજપ વિદર્ભમાં વધુ સીટો પર ચૂંટણી લડશે.