મરાઠા આરક્ષણ આટોપાયું તો મહાયુતી પર આ મોટું સંકટ આવી પડ્યુંઃ ભુજબળે કરી કોર્ટમાં જવાની તૈયારી

મુંબઈઃ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરકારે મરાઠા નેતા જરાંગે પાટીલ સામે નમતું જોખી મુંબઈમાંથી મરાઠા આરક્ષણના આંદોલનકારીઓને હટાવ્યા છે અને હાલપૂરતું આંદોલન શાંત પાડયું છે ત્યાં ફરી નવો પડકાર આવીને ઊભો છે અને જે વધારે અઘરો સાબિત થઈ શકે તેમ છે.
મહારાષ્ટ્ર સરકારના મરાઠા સમાજને કુનબી જાતનો દરજ્જો આપવાના નિર્ણયથી ભુજબળ નારાજ છે. તેમણે જાહેરમાં આ નારાજગી વ્યક્ત કરી છે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસેથી આવી અપેક્ષા ન હતી તેમ પણ જણાવ્યું છે. આ સાથે આ નિર્ણય કેબિનેટની બેઠકમાં ચર્ચા બાદ અમલમાં આવવો જોઈતો હતો, પરંતુ તેમ ન થયું હોવાની ફરિયાદ કરી તેઓ કેબિનેટ મિટિંગમાં પણ હાજર રહ્યા નથી. કુણબી જાતિ અધર બેકવર્ડ ક્લાસમાં (ઓબીસી) સમાજ સમાવિષ્ઠ છે. હવે મરાઠાઓને પણ તેમના ક્વોટામાં આરક્ષણ મળશે તો ઓબીસીમા આવતા તમામ સમાજને અન્યાય થશે તેમ ભુજબળનું કહેવાનું છે.
ભુજબળે આપી કોર્ટમાં જવાની ચેતાવણી
અજિત પવારની એનસીપીના નેતા છગન ભુજબળ ઓબીસી સમાજ પર સારો એવો પ્રભાવ ધરાવે છે. ઓબીસી કેટેગરીમાં પહેલેથી જ ઘણી જ્ઞાતિઓ સમાવિષ્ઠ છે. મહારાષ્ટ્રમાં મરાઠા સમાજ બહોળા પ્રમાણમાં છે. ભુજબળની નારાજગી મહાયુતી માટે ઉપાધિ બની શકે તેમ છે.
હવે ભુજબળે સરકારના મરાઠા આરક્ષણ અંગેના નિર્ણયને કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે. નારાજ ઓબીસી સમુદાયના પ્રતિનિધિઓ આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મળશે. હવે આ મામલે ફરી કોઈ નવો હંગામો મહારાષ્ટ્રમાં ઊભો થાય છે કે પછી ફડણવીસ સરકાર તેને શાંત કરવામાં સફળ રહે છે તે જોવાનું છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે ઓબીસી માટે 9 સભ્યોની કેબિનેટ સબ-કમિટીની રચના કરી