… તો બાંદ્રાથી દક્ષિણ મુંબઈ પહોંચી શકાશે 12 મિનિટમાં!

મુંબઈઃ મુંબઈ મહાપાલિકાના મહત્ત્વાકાંક્ષી ધર્મવીર સ્વરાજ્યરક્ષક છત્રપતિ સંભાજી મહારાજ મુંબઈ કોસ્ટલ રોડનો દક્ષિણ તરફનું 90 ટકાથી વધુ કામ પૂરું થયું હોઈ બાકીનું કામ પણ ઝડપથી પૂરું કરવામાં આવી રહ્યા છે. પરંતુ રસ્તામાં આવી રહેલી આ બંને ટનલ વાહન-વ્યવહાર માટે ખુલ્લી મૂકાયા બાદ જ બાંદ્રા વરલી-સી લિંક અને કોસ્ટલ રોડ શરૂ કરવાની પાલિકાની યોજના છે. આ માટે બંને બાજુની બો સ્ટ્રિંગ આર્ચ ગર્ડરને જોડવાનું કામ પૂરું થયું છે, પણ આ લેન શરૂ કરવા માટે ચોમાસાને કારણે વિલંબ થશે અને 10મી જુલાઈની ડેડલાઈન મિસ થઈ જવાની છે. આ જ કારણે કોસ્ટલ રોડથી બાંદ્રા સુધીના પ્રવાસ માટે રાહ જોવી પડશે.
કોસ્ટલ રોડના બાંદ્રા-વરલી સી લિંકની કનેક્ટિંગ એ આ પ્રકલ્પનો મહત્ત્વનો તબક્કો છે. કોસ્ટલ રોડને કારણે મરીન ડ્રાઈવથી વરલીના પ્રવાસનો સમય ઘટી ગયો છે અને હવે મુંબઈગરા મરીન ડ્રાઈવથી બાંદ્રા ઝડપથી પહોંચી શકાય એની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો : માળશેજ ઘાટ ખાતે મહારાષ્ટ્ર જ નહીં પણ દેશનો પહેલો ગ્લાસ બ્રિજ બનશે…
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ રોડનું નિરીક્ષણ કરતી વખતે રોડની બંનેમાંથી એક લેન જુલાઈના અંત સુધીમાં શરૂ કરવામાં આવે એવી સૂચના આપી હતી. પરંતુ ચોમાસાને કારણે રસ્તા પરનું કોંક્રિટીકરણ અને ક્યુરિંગના કામ કરવામાં અવરોધ આવી રહ્યા છે.
રસ્તાના ચાલી રહેલાં કામમાં ચોમાસુ અવરોધરૂપ બની રહ્યું હોઈ રસ્તાના કામની ગુણવત્તા ખરાબ થવાની શક્યતા છે. આ કોંક્રિટના કામને સુકાવવા માટે ઓછામાં ઓછા 24 કલાકનો સમય લાગે છે. હાલની ઋુતુમાં આ કામ કરવાનું શક્ય ન હોવાનું કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કોસ્ટલ પ્રોજેક્ટના કામ તબક્કાવાર ચાલી રહ્યા છે. 10.58 કિમીના કોસ્ટલ રોડ અને 4.5 કિમીની લંબાઈનો બાંદ્રા વરલી સી લિંકને જોડનારા બંને મહાકાય ગર્ડર બેસાડવામાં આવ્યા છે, જેને કારણે ટૂંક સમયમાં જ બાંદ્રાથી સાઉથ બોમ્બે સુધીનો અત્યાર સુધીની પોણા કલાકની મુસાફરી 12 મિનિટમાં પૂરી કરી શકશે.