સી.પી.રાધાકૃષ્ણને રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો
રાજભવનમાં લીધા મહારાષ્ટ્રના ગવર્નર તરીકે શપથ

મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં સી.પી.રાધાકૃષ્ણને મલબાર હિલમાં આવેલા રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ(ગવર્નર) તરીકે શપથ લીધા હતા અને સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો. બૉમ્બે હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય દ્વારા સી.પી.રાધાકૃષ્ણનને શપથ લેવડાવવામાં આવ્યા હતા. 1960માં મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઇ ત્યાર બાદ સી.પી.રાધાકૃષ્ણન રાજ્યના 21મા રાજ્યપાલ બન્યા છે.
રાજભવનના દરબાર હૉલ ખાતે યોજાયેલી શપથવિધીમાં મુખ્ય પ્રધાન શિંદે ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, અન્ય પ્રધાનો સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. શપથ લીધા બાદ રાજ્યપાલને ભારતીય નેવી દ્વારા ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું.
Read Also: પાંચ વર્ષમાં મહારાષ્ટ્રને મળ્યા ત્રીજા રાજ્યપાલ મળ્યા, કોણ છે નવા રાજ્યપાલ?
મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા તે પહેલા સી.પી.રાધાકૃષ્ણન દોઢ વર્ષ સુધી ઝારખંડના રાજ્યપાલ રહ્યા હતા. એ દરમિયાન તેમને તેલંગણાના રાજ્યપાલ અને પુદુચ્ચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકેની અતિરિક્ત જવાબદારી પણ સોંપવામાં આવી હતી.
રાધાકૃષ્ણન છેલ્લાં ચાર દાયકાથી વધુ સમય સુધી તામિલનાડુના રાજકારણમાં સક્રિય રહેલા છે અને ભાજપના દિગ્ગજ નેતાઓમાં તેમની ગણતરી થાય છે. 4 મે, 1957માં તામિલનાડુના તિરુપ્પુરમાં જન્મેલા રાધાકૃષ્ણન બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં બેચલર્સની ડિગ્રી ધરાવે છે. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર તરીકે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને પછીથી તે જનસંઘમાં જોડાયા હતા. 1996માં તેમને ભાજપના તામિલનાડુના ભાજપ એકમના સેક્રેટરી નિમવામાં આવ્યા હતા અને 1998માં તે કોઇમ્બતુરથી પહેલી વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા.