આમચી મુંબઈ

આ કારણે બીએમસીને લાગી રહ્યું છે કે મુંબઈના જળાશયોની ક્ષમતા ઘટી

પવઈ, તુલસી અને વિહારમાં ગાળ કાઢવાનો ઍક્શન પ્લાન ત્રણ મહિનામાં બનશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં આવેલા પવઈ, તુલસી અને વિહાર તળાવમાંથી ગાળ કાઢવા સંદર્ભમાં મુંબઈ મહાનગરપાલિકાને આવતા ત્રણ મહિનામાં એક્શન પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ રાજ્ય સરકારે આપ્યો છે. આ ત્રણેય તળાવમાથી પવઈને છોડીને તુલસી અને વિહાર બંનેનાં પાણીનો ઉપયોગ પીવા માટે કરવામાં આવે છે.

સામાન્ય રીતે જુલાઈની આસપાસ છલકાઈ જતું પવઈ તળાવ આ વર્ષે જૂન મહિનામાં જ છલકાઈ ગયું હતું. હાલ પવઈ તળાવમાં મોટા પ્રમાણમાં દરિયાઈ વનસ્પતિને ઊગી નીકળી છે, જેને હટાવવાનું કામ પાલિકાએ હાથ ધર્યું છે. સૂત્રોના કહેવા મુજબ પવઈ સહિત તુલસી અને વિહાર તળાવમાં મોટા પ્રમાણમાં રહેલા કાદવને કારણે તેની પાણી સમાવવાની ક્ષમતા ઘટી ગઈ હોવાની શકયતા છે.

બુધવારે મંત્રાલયમાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ, બોરીવલીના સંજય ગાંધી નેશનલ પાર્કના વનસંરક્ષક અધિકારી સહિત પર્યાવરણ વિભાગના અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી, જેમાં પવઈ, વિહાર અને તુલસી તળાવના ગાળ કાઢવા સંદર્ભમાં આગામી ત્રણ મહિનામાં એક્શન પ્લાન તૈયાર કરવાનો નિર્દેશ સરકારે આપ્યો હોવાનું કહેવાય છે. પવઈ અને તુલસી તળાવમાંથી ગાળ કાઢ્યા બાદ તેમાં પાણી સમાવવાની ક્ષમતા સંદર્ભનો અભ્યાસ કરીને તેનો અહેવાલ પણ તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

દર વર્ષે જુલાઈમાં પવઈ તળાવ ભરાઈને છલકાઈ જતું હોય છે પણ આ વર્ષે જૂન મહિનામાં જ પવઈ તળાવ છલકાઈ ગયું હતું. એનો મતલબ તળાવમાં રહેલા ગાળને કાઢવામાં આવ્યો ન હોવાને કારણે તેની પાણી સમાવવાની ક્ષમતા ઘટી ગઈ હોવી જોઈએ એવું માનવામાં આવી રહ્યું છે. પવઈ તળાવના પ્રદૂષણ સંદર્ભમાં મેરી સંસ્થાએ સર્વેક્ષણ પણ કર્યું હતું તેમાં પણ આ બાબત જણાઈ આવી હોવાનું માનવામાં આવે છે.

પવઈ તળાવનો પરિસર ૫૫૭ એકર પર છે. આ તળાવના પરિસરમાં સ્યુએજ વોટર (ગંદુ પાણી) છોડવામાં આવતું હોવાને કારણે તેમાં જંગલી વનસ્પતિ ઊગી નીકળી છે. તેથી પાલિકાએ સ્યુએજ વોટર પવઈમાં ઠલવાતું રોકવા માટે પગલાં લઈ રહી છે.

આ પણ વાંચો…મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકવાનું કારણ શું, કોણ છે ‘વિલન’?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button