આમચી મુંબઈટોપ ન્યૂઝ

ભાજપના સર્વેથી શિંદે જૂથમાં ચિંતા મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ થવાના સંકેત?

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓની તૈયારી શરૂ થઈ ગઈ છે. ભાજપે આ ચૂંટણીઓ માટે તૈયારીના ભાગરૂપે સર્વે શરૂ કરી દીધો છે. સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા કરવામાં આવેલો સર્વે પાર્ટીના નેતાઓ સુધી પહોંચી ગયો છે અને આનાથી શિવસેના શિંદે જૂથની ચિંતા વધારી દીધી છે. બીએમસી માટે શિંદે જૂથ દ્વારા શરૂ કરવામાં આવેલી તૈયારીઓ માથે પડે એવા એંધાણ જોવા મળી રહ્યા છે.

આગામી બીએમસીની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા આંતરિક સર્વે બાદ ગઠબંધનમાં બેઠકોની વહેંચણીની ગણતરીઓ મુશ્કેલીમાં મુકાઈ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. ભાજપે તેના સર્વેમાં સંકેત આપ્યો છે કે તે 150થી વધુ બેઠકો પર ચૂંટણી લડશે. આનાથી શિવસેના (શિંદે જૂથ)માં અશાંતિ વધી હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: મહાયુતિમાં વિખવાદ: એકનાથ શિંદે સમક્ષ પ્રધાનોએ ફરિયાદોનો મારો ચલાવ્યો

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 227 બેઠકો છે. આમાંથી, શિવસેના શિંદે જૂથ અત્યાર સુધી 107 બેઠકો પર પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવવાની તૈયારી કરી રહ્યું હોવાનો સંકેત આપી રહ્યું છે. શિવસેના શિંદે જૂથના મુખ્ય નેતા એકનાથ શિંદેએ ભાજપના નેતા અને ગૃહ પ્રધાન અમિત શાહને મુંબઈની મુલાકાત દરમિયાન મળ્યા હતા. આ બેઠકમાં શિંદેએ કહ્યું હતું કે તેમની પાસે 107 ઉમેદવારો તૈયાર છે. જેમાં ઠાકરે જૂથ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના કોર્પોરેટરોનો સમાવેશ થાય છે.

શિવસેના શિંદે જૂથે બીએમસીની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે, તેણે ઠાકરે જૂથના ભૂતપૂર્વ કોર્પોરેટરોને પાર્ટી સાથે જોડ્યા છે. શિંદેએ છેલ્લી ચૂંટણીમાં જીતેલા લગભગ પચાસ કોર્પોરેટરોને પાર્ટીમાં લીધા છે. આ ઉપરાંત, તેણે કોંગ્રેસ અને અન્ય પક્ષોના કોર્પોરેટરોને પણ પાર્ટીમાં સ્થાન આપ્યું છે.

આ પણ વાંચો: મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકારના કાર્યકાળમાં એકનાથ શિંદેને આયોજન પ્રક્રિયાઓમાંથી બાકાત રખાતા…

શું ભાજપ 150 બેઠકો પર ચૂંટણી લડશે?

ભાજપના સર્વે મુજબ, મુંબઈમાં જનમત ભાજપની તરફેણમાં છે અને તેથી ભાજપના નેતાઓને એવું લાગે છે કે પાર્ટી પોતાના દમ પર પાલિકામાં સત્તા હાસિંલ કરવા સક્ષમ છે. સર્વે મુજબ, જો ભાજપ 150 કે તેથી વધુ બેઠકો પર ચૂંટણી લડે છે, તો તેને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતાના દમ પર સરકાર બનાવવાની તક મળશે, પરંતુ જો ભાજપ 150 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે તો મોટો સવાલ એ છે કે શિંદે જૂથ અને એનસીપી અજિત પવાર જૂથને કેટલી બેઠકો મળશે? એમાં હજી રામદાસ આઠવલેના પક્ષની બેઠકોની તો ગણતરી પણ નથી કરી. મુંબઈમાં અજિત પવાર જૂથની તાકાત ખૂબ ઓછી હોવાથી અજિત પવાર જૂથ મહાયુતિમાં ઓછી બેઠકો પર ચૂંટણી લડવા માટે કદાચ તૈયાર થઈ શકે છે. જોકે, શિંદે જૂથને મોટી સમસ્યાનો સામનો કરવો પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button