ભાજપમાં કેમ પડવા મંડ્યા રાજીનામા? આટલા નેતાઓ ઉદ્ધવ સાથે જોડાશે

ડોબિંવલીઃ સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ગઈકાલે કલ્યાણના નેતાઓ ઉદ્ધવ ઠાકરેની શિવસેના છોડી એકનાથ શિંદેની શિવસેનામાં પ્રવેશ્યા ત્યારે આજે ડોંબિવલી ભાજપમાં ભડાકો થયો છે. અહીં ઘણા મોટા નેતાઓએ રાજીનામા ધરી દીધા હોવાની ખબર ફેલાઈ છે.
સ્થાયી સમિતિના પૂર્વ સભાપતિ વિકાસ મ્હાત્રે અને તેમનાં પત્ની પૂર્વ નગરસેવિકા કવિતા મ્હાત્રેએ ભાજપના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. આ સાથે તેમણે ઠાકરે જૂથમાં જવાના સંકેતો પણ આપ્યા હોવાનું અહેવાલો જણાવે છે
શું છે કારણ
મ્હાત્રે દંપતી અને તેમની સાથે જોડાયેલા કાર્યકરોએ નારાજગી દર્શાવી છે. સ્થાનિક નેતાગિરી સાથ ન આપતી હોવાનો અને વિકાસના કામ માટે કોઈપણ પ્રકારની ફાળવણી ન થતી હોવાનો દાવો કર્યો છે. આસપાસના વૉર્ટ્સમાં પૂરેપુરું ફંડ ફાળવવામાં આવે છે અને અમારા વિસ્તારોની અવગણના કરવામાં આવે છે, તેવો આક્ષેપ પણ તેમણે કર્યો છે. સત્તામાં હોવા છતાં કામ થતાં ન હોવાથી જનતા પણ નારાજ છે, આથી અમે આ નિર્ણય લીધો છે, તેમ તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું.
જોકે આ પહેલા પણ તેમણે રાજીનામું આપ્યું હતું, પરંતુ વિધાનસભ્ય રવિન્દ્ર ચવ્હાણે મધ્યસ્થી કરતા તેઓ ફરી પક્ષમાં જોડાયા હતા.
આ દંપતીએ કાર્યકર્તાઓ સાથે ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં પ્રવેશ કરવાની તૈયારી બતાવી છે ત્યારે જો આમ થશે તો ડોંબિવલી ભાજપને નુકસાન થશે.