IAS પૂજા ખેડકર સાથે સંબંધો અંગે ભાજપનાં નેતા પંકજા મુંડેએ કરી આ મોટી વાત…
![BJP leader Pankaja Munde made this big talk about relations with IAS Pooja Khedkar...](https://bombaysamachar.com/wp-content/uploads/2024/07/PANKAJA-MUNDE.webp)
મુંબઈ: દિવ્યાંગતા અને ઓબીસીના સર્ટિફિકેટનો ખોટી રીતે ઉપયોગ કરી યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)માં પસંદગી પામવા સહિતના અન્ય અનેક આરોપોનો સામનો કરી રહેલી અત્યંત વિવાદાસ્પદ પ્રોબેશનરી (ટ્રેઈની-શિખાઉ) આઇએએસ અધિકારી પૂજા ખેડકર (IAS Pooja Khedkar) અને પંકજા મુંડે (Pankaja Munde) વચ્ચે સંબંધ હોવાના અહેવાલ ફરતા થયા હતા. જોકે, આ તમામ અહેવાલોને નકારતા પંકજા મુંડેએ તેમના પૂજા ખેડકર સાથે કોઇ સંબંધ ન હોવાની સ્પષ્ટતા કરી છે.
ભાજપના નેતા તેમ જ મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય પંકજા મુંડેએ તેમનો પૂજા ખેડકર સાથે કોઇ સંબંધ નહીં હોવાનું સ્પષ્ટ કર્યું છે તેમ જ આ પ્રકારના ખોટા આરોપો કરનારા વિરુદ્ધ પગલાં લેવાની ચીમકી પણ પંકજા મુંડેએ આપી હતી.
હાલ પૂજા ખેડકરના દસ્તાવેજો ઉપરાંત તેમની માતા મનોરમા હાથમાં પિસ્તોલ લઇને ગામવાસીઓને ધમકી આપતી હોવાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ મામલે પંકજા મુંડેએ પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકર પાસેથી ચેક સ્વીકાર્યો હોવાનો દાવો કરતા અહેવાલ વહેતા થયા હતા. પંકડા મુંડેએ ટ્રસ્ટ માટે આ ચેક સ્વીકાર્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો.
જેને પગલે આ પ્રકારના ખોટા આરોપો કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચીમકી પંકજા મુંડએ આપી હતી અને કહ્યું હતું કે મેં હું જ ક્યારેક મારાથી શક્ય હોય ત્યારે ગોપીનાથ મુંડે પ્રતિષ્ઠાનને પૈસા પૂરી પાડતી હોવ છું, પરંતુ આ પ્રકારના આરોપોના કારણે હું અત્યંત વ્યથિત છું.
હું ચૂંટણીમાં જીતી તેનો આનંદ લોકો સાથે મનાવી રહી હતી, પરંતુ મારો આનંદ અમુક લોકોને પસંદ નથી પડ્યો. પૂજા ખેડકરના સમાચાર અનેક દિવસોથી આવી રહ્યા છે, પરંતુ લોકોને કાલે જ શું થયું કે તેમણે પંકજા મુંડે સાથે તેનો સંબંધ જોડી દીધો, તેવો સવાલ પંકજાએ કર્યો હતો.