ભાજપના નેતાએ PM Modiને આ પત્ર લખીને કરી મોટી માગણી, letter viral

મુંબઈ: લોકસભાની ચૂંટણી (Lok Sabha Election results)માં મહારાષ્ટ્રમાં મહાયુતિનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો અને ખાસ કરીને 2019ની લોકસભા ચૂંટણીની સરખામણીએ અત્યંત ક્ષોભજનક રહ્યો. ભાજપ અને સાથી પક્ષોના નેતાઓ આ ધબડકાને પગલે મનોમંથન અને આત્મચિંતન કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના ભાજપના એક નેતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ને પત્ર લખીને આશ્ચર્યજનક માગણી કરી છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં ખરાબ દેખાવના કારણે ભાજપના કાર્યકર્તાઓનું મનોબળ પણ ભાંગી પડ્યું છે એવામાં એક ભાજપી નેતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી માગણી કરી છે કે ફક્ત એવા જ લોકોને મફતનું રાશન આપવામાં આવે જેમણે મતદાન કર્યું હોય.
આ પણ વાંચો:લોકસભા ચૂંટણી 2024ઃ મહારાષ્ટ્રની 13 બેઠકો પર બપોરે એક વાગ્યા સુધી 27.78 ટકા મતદાન
આ પત્ર મહારાષ્ટ્રના ઉત્તર ભારતીય મોરચાના ઉપાધ્યક્ષ અર્જુન ગુપ્તાએ લખ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તમારા નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનવાની તૈયારીમાં છે. છેલ્લાં 60 વર્ષોથી કૉંગ્રેસ અને તેમના સાથીદારોએ લોકોને મત મેળવવા માટે ફક્ત મૂરખ બનાવવાનું જ કામ કર્યું છે.
તમારા 10 વર્ષોમાં ભારતનો વિકાસ આખી દુનિયામાં પ્રચલિત થયો છે. એ છતાં પણ આ પ્રકારનું મતદાન? એટલા માટે મફતનું રાશન બંધ કરી દેવામાં આવે અને જો આપવામાં આવે તો ફક્ત એ જ લોકોને આપવામાં આવે જેમણે મતદાન કર્યું હોય.
ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠક ખૂબ મહત્ત્વની પુરવાર થાય છે અને મહાયુતિનું લક્ષ્ય 48માંથી 45 બેઠકો જીતવાનું હતું. એકલા ભાજપની વાત કરીએ તો 2019ની ચૂંટણીમાં ભાજપે 23 બેઠકો પર જીત મેળવી હતી. જોકે 2014ની ચૂંટણીમાં ભાજપ ફક્ત 9 બેઠક પર વિજય મેળવી શકી હતી.