આમચી મુંબઈ

વિમાનોને બર્ડ હિટનો ખતરો: બીએમસી એક્શનમાં

પક્ષીઓને આકર્ષતા વર્સોવાના કચરાના વર્ગીકરણ કરતા આરટીએસ પર શેડ નાખવા ૧૫ દિવસમાં ટેન્ડર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમદાવાદમાં તાજેતરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રૅશ થયા બાદ મુંબઈ ઍરપોર્ટ પર ટેક-ઓફફ અને લૅન્ડ કરનારી ફ્લાઈટને પક્ષીઓની ટક્કરથી બચાવવા માટે હવે મુંબઈ મહાનગરપાલિકાએ કમર કસી છે. ઍરપોર્ટથી આઠ કિલોમીટર દૂર આવેલા વર્સોવા રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન (આરટીએસ) પર સંરક્ષણાત્મક શેડ બેસાડવા માટે આગામી ૧૫ દિવસની અંદર ટેન્ડર પ્રક્રિયાને પાલિકા અમલમાં મૂકવાની છે.

વિમાન માટે પક્ષીઓ સાથેની ટક્કર જોખમી સાબિત થઈ શકે છે. મુંબઈ ઍરપોર્ટ નજીક રહેલા પક્ષીઓના ઝુંડને કારણે ફ્લાઈટને જોખમ ઊભું થવાની શક્યતાને જોતા મુંબઈ મહાનગરપાલિકો તાત્કાલિક ધોરણે સાવચેતીનાં પગલાં અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. ઍરપોર્ટથી આઠ કિલોમીટર દૂર વર્સોવામાં પાલિકાનું રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન (આરટીએસ) ( સ્થાનિક સ્તરે કચરા જમા થયા બાદ વર્સોવાના આરટીએસમાં તેનુંં વર્ગીકરણ કરવું) આવેલું છે. અહીં દરરોજ મોટા પ્રમાણમાં કચરો ખુલ્લામાં રહેતો હોય છે, તેથી અહીં મોટા પ્રમાણમાં પક્ષીઓના ઝુંડ આકર્ષાતા હોય છે.

બુધવારે મંત્રલાયમાં એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં પક્ષીઓના જોખમના મુદ્દે ચર્ચા હતી. આ બેઠકમાં પાલિકાના ઉચ્ચ અધિકારી, ડિરક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન, ઍરપોર્ટ ઑપરેટર કંપની, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને રાજ્યના પર્યાવરણ વિભાગ હાજર રહ્યા હતા. બેઠક દરમ્યાન વર્સોવા આરટીએસ નજીક પક્ષીઓની વધતી જતી ગતિવિધિઓ અને પક્ષીઓના પ્લેન સાથે ટકરાવવાની શકયતા અને પર્યાવરણીય અને સ્વચ્છતાને મુદ્દે ચર્ચા થઈ હતી.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈન મુજબ ઍરપોર્ટ અને ઍરબેઝથી ઓછામાં ઓછા ૨૦ કિલોમીટર દૂર ખુલ્લામાં ડમ્પિંગ હોવું ફરજિયાત છે. જ્યારે ઍરપોર્ટથી માત્ર આઠ કિલોમીટર દૂર વર્સોવામાં ૮,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલા આરટીએસમાં દરરોજ ૪૦૦થી ૫૦૦ મેટ્રિક ટન કચરાને લાવવામાં આવે છે, તે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
અહીં સામાન્ય રીતે ટ્રક અને ડમ્પર દ્વારા કચરો ખુલ્લામાં ઢગલો કરવામાં આવે છે અને પછી તેને લઈ જવામાં આવે છે. આનાથી ઊંચાઈએ ઉડતા પક્ષીઓ આકર્ષાય છે અને નીચે ઉતરે છે તેથી નજીકમાં ઉડતાં વિમાનો માટે તે જોખમી સાબિત થઈ શકે છે. આ જોખમને ધ્યાનમાં રાખીને આરટીએસને આવરી લેતા સંરક્ષણાત્ક શેડ બેસાડવાનો નિર્દેશ બેઠક દરમ્યાન પાલિકા પ્રશાસનને આપવામાં આવ્યો હતો.

પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે આ સમસ્યાના ઉકેલ માટે સ્ટાર્ટ-અપ, રિસર્ચ ઈન્સ્ટિટ્યુશન અને નાગરિકો પાસેથી યોગદાન આપવા માટે આમંત્રિત કરવામાં આવશે. એક્શન પ્લાન અમલમાં મૂકવા માટે મલ્ટિ-ડિપાર્ટમેન્ટલ કમિટીની પણ સ્થાપના કરવામાં આવશે. આ દરમ્યાન પાલિકાએ ઍરપોર્ટ અધિકારીઓ સાથે નિયમિત બેઠકો બાદ પક્ષીઓના જોખમને પહોંચી વળવા માટે વર્સોવા આરટીએસના અપગ્રેટેડશ માટે પ્રસ્તાવ મુક્યો હતો. આ યોજનાના ભાગરૂપે આગામી ૧૫ દિવસની અંદર આરટીએસને સંરક્ષણાત્મક જાળી અને છતથી ઢાંકવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે.

આ પણ વાંચો…ચાંદીની થાળીમાં જમનારા શાસકો ભૂખ્યા લોકોની વેદના કેવી રીતે સમજી શકે?’: વડેટ્ટીવાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button