પત્ની સાથે અફૅરની શંકા પરથી પતિએ સાઢુનું ગુપ્તાંગ વાઢી નાખ્યું: આરોપી 13 વર્ષે પકડાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પત્ની સાથે અફૅર હોવાની શંકા પરથી પતિ સાઢુ પર એટલો ગિન્નાયો કે તેની કરપીણ હત્યા કરીને ગુપ્તાંગ જ વાઢી નાખ્યું હતું. ભાયંદરમાં બનેલી આ ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપીને મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે છેક 13 વર્ષે દિલ્હીમાં પકડી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રમોદ બડાખની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ ગોવિંદ જગતનારાયણ ચૌધરી (34) તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને નવઘર પોલીસના તાબામાં સોંપાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ભાયંદર પૂર્વના નવઘર રોડ પરના સાંઈબાબા નગરમાં રહેતા સુરેશકુમાર સૂર્યનારાયણ ચૌધરી (35)ની 28 મે, 2012ની રાતે હત્યા કરવામાં આવી હતી. ઈસ્ત્રીના વાયરથી ગળું દબાવ્યા પછી તેના મોં પર સેલોટેપ લગાવવામાં આવી હતી. લોખંડના સળિયાથી માથા પર ફટકારીને કટરથી શરીર પર ઘા ઝીંકવામાં આવ્યા હતા. છેલ્લે સુરેશનું ગુપ્તાંગ કાપીને આરોપીએ અન્ય કોઈ સ્થળે ફેંકી દીધું હતું. આટલી ક્રૂરતાથી હત્યા કરનારા આરોપીના મનમાં તે સમયે ભારોભાર રોષ ધરબાયેલો હોવાનો અંદાજ પોલીસે લગાવ્યો હતો.
આ પ્રકરણે નવઘર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ઘટના બાદથી ફરાર આરોપી પોલીસને હાથ લાગ્યો નહોતો. પરિણામે વરિષ્ઠ અધિકારીએ કેસની તપાસ હાથ ધરી આરોપીને શોધી કાઢવાનો આદેશ ક્રાઈમ બ્રાન્ચે આપ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં બિહારના મધુબનીનો વતની ગોવિંદ દિલ્હીમાં સંતાયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની ટીમ તાત્કાલિક દિલ્હી પહોંચી હતી અને નયા બાજાર ખાતેની પત્તેવાલી ગલીમાંથી આરોપીને પકડી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીની સાળી સાથે સુરેશનાં લગ્ન થયાં હતાં, પરંતુ લગ્ન બાદ સુરેશ આરોપીની પત્ની સાથે આડાસંબંધ રાખતો હોવાની જાણકારી આરોપીને મળી હતી. આ વાતને લઈ તેમની વચ્ચે ઝઘડો પણ થયો હતો. આખરે આરોપી સુરેશની નિર્દયતાથી હત્યા કરી હતી.