લોકસભાની ચૂંટણી પૂર્વે ‘મહાયુતિ’માં સંકટના એંધાણ? સીટ વહેંચણી મુદ્દે ખેંચાખેંચી
![Before the Lok Sabha elections, the danger in 'Mahayuti'? Tension over seat sharing issue](https://bombaysamachar.com/wp-content/uploads/2023/11/Mumbai-Samachar-by-Jignesh-2023-11-17T193720.081.jpg)
મુંબઈઃ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને કારણે દેશની ટોચની પાર્ટીમાં મતદારોની રિઝવવાની કવાયત હાથ ધરી છે, ત્યારે પાર્ટીમાં નેતાઓએ પોતે અથવા પોતાના માણસોને બેઠકો પર ઊભા રાખવા હિલચાલ વધારી છે. ચૂંટણીને કારણે મહારાષ્ટ્રની મહાયુતિ (ભાજપ, શિવસેના અને એનસીપી)માં ખેંચાખેંચી ચાલુ થઈ ગઈ છે, એું સૂત્રોએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં એનો સિલસિલો ચાલુ છે, જેમાં મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ને ઉથલાવીને ભાજપની આગેવાનીમાં એકનાથ શિંદેએ સરકાર બનાવ્યા પછી રાષ્ટ્રવાદીમાં પણ ભાગલા પાડ્યા હતા. હવે આ મહાયુતિનું જોડાણ કરવામાં આવ્યું હતું. પણ હવે લોકસભાની ચૂંટણીની બેઠકોને ખેંચાખેંચી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આગામી લોકસભાની ચૂંટણી માટે સીટની વહેંચણીને લઈ મહાયુતિમાં અનેક નેતાઓની ડિમાન્ડ વધી છે, જ્યારે અનેકના સમીકારણો બગડી રહ્યા છે. અજિત પવારના એનસીપી જૂથને લોકસભાની ચૂંટણી માટે નવ બેઠકની માગણી કરી છે, જેમાં બારામતી, સાતારા, શિરુર, રાયગઢથી એનસીપીના ચાર સાંસદ છે.
એનસીપીની આ ચાર બેઠકની સાથે સાથે દક્ષિણ મુંબઈ, ધારાશિવ, પરભણી, ભંડારા ગોંદિયા, છત્રપતિ સંભાજી નગર એમ પાંચ બેઠકની ડિમાન્ડ છે. મહારાષ્ટ્રની આ લોકસભાની બેઠકો પર શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ પોતાના ઉમેદવાર રાખવાની વેતરણમાં છે.
આ સીટની લડાઈમાં એનસીપીમાં પણ નારાજગી વધી છે. સીટ વહેંચણીને લઈ ત્રણ પક્ષના ગઠબંધનમાં ખેંચાખેંચીની સાથે ત્રણ પક્ષની મહત્ત્વપૂર્ણ સંખ્યામાં સીટની ડિમાન્ડ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કુલ લોકસભાની 48 બેઠક છે.
આ અગાઉ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથના નેતૃત્વવાળી શિવસેનાની પાર્ટીએ 22 બેઠકની માગણી કરી હતી, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે 11 બેઠકની માગણી કરી હતી. ત્રીજા ગઠબંધન એટલે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના 22 સાંસદ છે. હાલમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું હતું કે ગઠબંધનના પક્ષો સાથે સીટની વહેંચણીને લઈને કોઈ વાતચીત કરી નથી. અત્યાર સુધીમાં કોઈ ડિમાન્ડ પણ કરવામાં આવી નથી.
અમે ગઠબંધનના પક્ષોની સાથે સીટ વહેંચણીને લઈ ચર્ચા કરીશું ત્યાર બાદ સીટ નક્કી કરવામાં આવશે. આમ છતાં સીટ વહેંચણી મુદ્દે કોઈ લડાઈ કે વિવાદ નથી, એમ તેમણે સ્પષ્ટતા કરી હતી.