બાંગ્લાદેશી મહિલાને દેહવેપાર માટે બે લાખમાં વેચી: આરોપીઓ સામે બળાત્કારનો ગુનો

થાણે: બાંગ્લાદેશી મહિલાને દેહવેપાર માટે બે લાખ રૂપિયામાં વેચવામાં આવતાં નવી મુંબઈ પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
નેરુળ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર નીલેશ ફુલેએ જણાવ્યું હતું કે મહિલા બાંગ્લાદેશના ખુલના જિલ્લાની વતની છે. તેને નોકરી અપાવવાની લાલચે ભારતમાં લાવવામાં આવી હતી.
અમુક એજન્ટે નોકરી ખાતરી આપી મહિલાને ભારત લાવવામાં સફળ રહ્યા હતા. ભારત આવ્યા પછી એક શખસે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. બીજા કેટલાક આરોપી મહિલાને દક્ષિણ મુંબઈમાં ગ્રાન્ટ રોડ સ્થિત એક લોજમાં લઈ ગયા હતા, જ્યાં સેક્સ રૅકેટ ચલાવનારાઓના તાબામાં મહિલાને સોંપાઈ હતી.
આ પણ વાંચો : પોલીસના સ્વાંગમાં વૃદ્ધના દાગીના પડાવી બે આરોપી ફરાર
પછી મહિલાને જબરદસ્તી દેહવેપારમાં ધકેલવામાં આવી હતી. એજન્ટ્સે બાદમાં બે લાખ રૂપિયામાં મહિલાને અન્ય બે આરોપીને વેચી દીધી હતી. મહિલા પાસે ફરી દેહવેપાર કરાવવામાં આવતો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ કેસમાં મહિલા સહિત બે જણની ધરપકડ કરાઈ હતી. પકડાયેલા આરોપીઓની ઓળખ અમીર આઝમ (27) અને શેફાલી જહાંગીર મુલ્લા (34) તરીકે થઈ હતી. બન્ને નેરુળના રહેવાસી હોવાનું પોલીસનું કહેવું છે.
આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની બળાત્કાર સંબંધી કલમો તેમ જ માનવ તસ્કરી, પાસપોર્ટ ઍક્ટ અને ફોરેનર્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ