બદલાપુરથી ચાર વર્ષની બાળકીનું અપહરણ: 24 કલાકમાં આરોપી મધ્ય પ્રદેશમાં પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બદલાપુરથી ચાર વર્ષની બાળકીનું કથિત અપહરણ કરનારા આરોપીને થાણે પોલીસે 24 કલાકમાં જ મધ્ય પ્રદેશથી પકડી પાડી બાળકીને છોડાવી હતી. પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ રંજિત બિસનલાલ ધુર્વે (26) તરીકે થઈ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
બદલાપુર પશ્ર્ચિમના રમેશવાડી ખાતે પરિવાર સાથે રહેતી બાળકીનું મંગળવારની બપોરે એક વાગ્યાની આસપાસ તેના ઘર બહારથી અપહરણ કરવામાં આવ્યું હતું. બાળકીની માતાએ નોંધાવેલી ફરિયાદને આધારે બદલાપુર વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આપણ વાંચો: શિવસેનાના નેતાની અપહરણ બાદ હત્યા: બીજો મુખ્ય આરોપી પકડાયો
બાળકીના અપહરણની ઘટનાને ગંભીરતાથી લઈ ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી હતી. આરોપીની શોધ માટે પોલીસ અધિકારીઓની ચાર ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળથી રેલવે સ્ટેશન સુધીના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં. ફૂટેજમાં આરોપી બાળકીને પોતાની સાથે લઈ જતો નજરે પડ્યો હતો.
ટેક્નિકલ બાબતોનો અભ્યાસ અને મળેલી માહિતીને આધારે આરોપી બાળકીને મધ્ય પ્રદેશના મોરડોંગરી લઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. તાત્કાલિક પોલીસની ટીમ મધ્ય પ્રદેશ પહોંચી હતી.
સ્થાનિક ઉમરેઠ પોલીસની મદદથી શોધ ચલાવી આરોપી ધુર્વેને છિંદવાડા જિલ્લામાંથી બુધવારે તાબામાં લેવાયો હતો. તેની પાસેથી છોડાવાયેલી બાળકી પરિવારને સોંપાઈ હતી. આરોપી પૂરતી માહિતી આપતો ન હોવાથી અપહરણ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હોવાનું પોલીસનું કહેવું છે.