અજિત પવારના ભાષણમાં બચ્ચુ કડુના સમર્થકોના સૂત્રોચ્ચાર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમરાવતી જિલ્લામાં ભૂખ હડતાળ પર ઉતરેલા ભૂતપૂર્વ વિધાનસભ્ય બચ્ચુ કડુના સમર્થકોએ શનિવારે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના ભાષણમાં હોબાળો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ ઘટના ત્યારે બની જ્યારે પવાર પુણેના સ્વારગેટ વિસ્તારમાં ગણેશ કલા ક્રિડા મંચ ખાતે એક મોડેલ સ્કૂલના ઉદ્ઘાટન અને શિક્ષકોને પુરસ્કાર વિતરણ કાર્યક્રમમાં હતા. આંદોલનકારીઓને સ્થળની બહાર લઈ જવામાં આવ્યા તે પહેલાં લગભગ 10 મિનિટ સુધી નાટક ચાલ્યું હતું.
કડુના સમર્થકોએ આરોપ લગાવ્યો કે અચલપુરના ભૂતપૂર્વ વિધાનસભ્યની ભૂખ હડતાળ છતાં રાજ્ય સરકાર તેમની માગણીઓ પર ધ્યાન આપી રહી નથી. બચ્ચુ કડુ છેલ્લા સાત દિવસથી રાજ્યના ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફી અને ‘દિવ્યાંગજન’ માટે દર મહિને 6,000 રૂપિયાની સહાયની માગણી સાથે અમરાવતીના તેવસા તાલુકાના ગુરુકુંજ મોઝારીમાં ભૂખ હડતાળ પર બેઠા હતા, જોકે સરકાર તરફથી લેખિત આશ્ર્વાસન મળ્યા બાદ તેમણે શનિવારે ભૂખ હડતાળ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.,
જ્યારે પવાર શ્રોતાઓને સંબોધવા માટે ઉભા થયા, ત્યારે કડુના કેટલાક સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ અને અન્ય અધિકારીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે પવારે અધિકારીઓને તેમને પોતાની વાત વ્યક્ત કરવાની મંજૂરી આપવા કહ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાને તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો કે શુક્રવારે રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ કડુ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે એક સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમની માગણીઓ પર યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જોકે, સમર્થકો સાંભળવાના મૂડમાં નહોતા, જેના કારણે પવારે પોલીસને તેમને સભાગૃહની બહાર લઈ જવાનો નિર્દેશ આપવો પડ્યો હતો. પોલીસે તેમની સૂચનાઓનું પાલન કર્યું અને સમર્થકોને બહાર લઈ ગયા અને કાર્યક્રમ ચાલુ રહ્યો હતો.