શિંદેએ બધાને ‘ખરી શિવસેના’ બતાવી દીધી: શાહ

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બધાને ‘ખરી શિવસેના’ બતાવી દીધી છે, એવા શબ્દોમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એકનાથ શિંદેની પ્રશંસા કરી હતી.
બાળ ઠાકરે દ્વારા સ્થાપિત પાર્ટી જૂન 2022માં શિંદેએ બળવો કરીને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકારને તોડી પાડ્યા બાદ વિભાજીત થઈ ગઈ. ત્યારથી બંને જૂથો પાર્ટીના સ્થાપક બાળ ઠાકરેના વારસા પર દાવો કરવા અને ‘ખરી શિવસેના’ તરીકેની ઓળખ દર્શાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ભાજપના વરિષ્ઠ નેતાએ માસિયા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં શિંદેની હાજરીમાં આ ટિપ્પણી કરી હતી.
‘શિંદેએ બધાને બતાવ્યું છે કે વાસ્તવિક શિવસેના કઈ છે,’ એમ શાહે કહ્યું હતું.
આ ટિપ્પણી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે બંને જૂથો, જેને હવે અનુક્રમે શિવસેના અને શિવસેના (યુબીટી) કહેવામાં આવે છે, તેમણે અવિભાજિત પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કર્યાના એક દિવસ પછી આવી છે.
રાજ્યભરમાં ખાસ કરીને દેશની સૌથી શ્રીમંત મનપા મુંબઈમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સેનાનો જંગ વધુ ઉગ્ર બનવાનો છે, જે ઘણા દાયકાઓથી અવિભાજિત શિવસેનાનો ગઢ હતો.