મરાઠી ભાષા અને સંસ્કૃતિને દૂર દૂર સુધી ગુંજવા દો: અજિત પવાર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે ‘અષાઢી એકાદશી’ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી અને મરાઠી ભાષા અને સંસ્કૃતિનો દૂર દૂર સુધી ફેલાવો કરવા હાકલ કરી હતી. પોતાના સંદેશમાં, પવારે સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં વાર્ષિક ‘વારી’ (તીર્થયાત્રા)નું વર્ણન કર્યું હતું, જ્યાં ભક્તો ભગવાન વિઠ્ઠલ અને દેવી રુક્મિણીના પ્રખ્યાત મંદિરમાં પ્રાર્થના કરે છે, તેને ભક્તિ, શિસ્ત અને આધ્યાત્મિક સમાનતામાં મૂળ ધરાવતી એક ભવ્ય પરંપરા ગણાવી હતી.
‘આ મહારાષ્ટ્રની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક શક્તિ છે જેને સાચવવી અને મજબૂત બનાવવી જોઈએ,’ એમ એનસીપીના વડાએ કહ્યું હતું. નાગરિકોને શુભકામનાઓ આપતાં નાયબ મુખ્યપ્રધાને કહ્યું હતું કે, ‘મરાઠી ભાષા અને સંસ્કૃતિને દૂર દૂર સુધી ગુંજવા દો, મહારાષ્ટ્રની પ્રગતિનો ધ્વજ ગર્વથી ઊંચો લહેરાવા દો. રાજ્ય સામૂહિક રીતે આગળ વધીને સમૃદ્ધિ, એકતા અને શક્તિનું સાક્ષી બને.’

અષાઢી વારી મહારાષ્ટ્રની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું એક શક્તિશાળી આંદોલન છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે, સદીઓથી, વારકરી સંપ્રદાયે રાજ્યના સામાજિક અને સાંસ્કૃતિક માળખાને માત્ર માર્ગદર્શન જ નથી આપ્યું, પરંતુ સમૃદ્ધ પણ બનાવ્યું છે. નાયબ મુખ્યપ્રધાનેે સારા ચોમાસા અને સમૃદ્ધ કૃષિ ઋતુ માટે પણ પ્રાર્થના કરી હતી. ‘હું પ્રાર્થના કરું છું કે ખેતરો ફળદ્રુપ બને, ઘરો અનાજથી ભરપૂર રહે અને રાજ્યના દરેક ઘરને શાંતિ અને સુખ મળે,’ એમ તેમણે કહ્યું હતું.