આમચી મુંબઈ

અકસ્માત બાદ પગ ગુમાવનારા શખસને 58.26 લાખનું વળતર ચૂકવવાનો આદેશ

થાણે: ચાર વર્ષ પૂર્વે અકસ્માત બાદ પગ ગુમાવનારા ભૂતપૂર્વ અકાઉન્ટન્ટને મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 58.26 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ટ્રિબ્યુનલના અધ્યક્ષસ્થાને એસ. એન. શાહ હતા અને તેમણે 23 મેના રોજ આ આદેશ આપ્યો હતો.

24 ફેબ્રુઆરી, 2021ના રોજ મુંબઈમાં અરવિંદ ભીખાલાલ પરમાર ટૂ-વ્હીલર પર જઇ રહ્યો હતો ત્યારે બેસ્ટની બસે તેને અડફેટમાં લીધો હતો, જેને તેને ગંભીર ઇજા થઇ હતી.

પરમારને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસ્યા બાદ તેનો ડાબો પગ કાપવો પડશે, એવી સલાહ આપી હતી. બાદમાં પરિવારજનોની પરવાનગીથી તેનો પગ કાપી નાખવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અકસ્માતમાં ઘવાયેલા શખસને 8.13 લાખનું વળતર ચૂકવવાનો એમએસીટીનો આદેશ

પરમાર વતી હાજર રહેલા વકીલ એ.આર. યાદવે ટ્રિબ્યુનલને કહ્યું હતું કે તેનો અસીલ અકસ્માત પૂર્વે માસિક પચીસ હજાર રૂપિયા કમાતો હતો. જોકે અકસ્માત બાદ તેને 80 ટકા અપંગત્વ આવ્યું છે, જેને કારણે હવે તે કામ કરી શકે એવી સ્થિતિમાં નથી.

બસનો વીમો રાષ્ટ્રીય વીમા કંપનીની થાણે શાખામાંથી કઢાવવામાં આવ્યો હોવાથી આ મામલો થાણેની ટ્રિબ્યુનલમાં પહોંચ્યો હતો.

અરજદારની ઇજાનો પ્રકાર અને સ્થિતિ ધ્યાનમાં લેતાં તેની વ્યાવસાયી દિવ્યાંગતા 100 ટકા તરીકે ગણતરી કરી શકાય, એવી નોંધ ટ્રિબ્યુનલે કરીને પરમારને 58.26 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ આપ્યો હતો. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button