મુંબઈમાં ૭૦ હજાર રખડતા શ્ર્વાનના કરડવાના બનાવ
રાજ્યના ૨૬ ટકા શ્ર્વાન કરડવાના બનાવ એકલા મુંબઈમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દિલ્હીમાં રખડતા શ્ર્વાનને આશ્રયસ્થાનમાં રાખવાનો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુંબઈમાં પણ રખડતા શ્ર્વાનનો મુદ્દો ફરી ચર્ચાએ આવ્યો છે. એક અંદાજ મુંબઈમાં વર્ષે શ્ર્વાન કરડવાના ૭૦,૦૦૦ જેટલા બનાવ નોંધાય હોય છે. શ્ર્વાનની વધતી વસતીને પગલે મુંબઈમાં શ્ર્વાનનો નસબંધીનો કાર્યક્રમ ફટાફટ પૂરો કરવો અને તેમની માટે આશ્રયસ્થાન ઊભા કરીને ત્યાં શ્ર્વાનનું તાત્કાલિક સ્થળાંતર કરો એવી માગણી પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને કરવામાં આવી છે.
મુંબઈમાં દર વર્ષે લગભગ શ્ર્વાન કરડવાના ૭૦,૦૦૦ બનાવ બને છે, જે રાજ્યના નોંધાતા કુલ બનાવના ૨૬ ટકા છે. જાન્યુઆરી ૨૦૨૫થી ઑગસ્ટ ૨૦૨૫ સુધીના આઠ મહિનામાં જ પાલિકાના પોર્ટલ પર શ્ર્વાન કરડવાની ૧૦,૦૦૦ ફરિયાદ નોંધાઈ હતી. ૨૦૨૪ની સાલમાં દર અઠવાડિયે સરેરાશ શ્ર્વાન કરડવાના ૧૫૦ બનાવ નોંધાયા હતા. રેબીઝનું જોખમ ગંભીર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનના સર્વેક્ષણ મુજબ ૨૦૨૨માં ભારતમાં તેને કારણે ૧૮,૦૦૦ મૃત્યુ થયા હતા.
ભૂતપૂર્વ નગરસેવક અને વિધાનસભ્ય વિધાનસભ્ય અમિત સાટમે પાલિકા કમિશનરે પત્ર લખીને જણાવ્યું હતું કે રખડતા શ્ર્વાનને કારણે નાના બાળકો, વરિષ્ઠ નાગરિકો અને ટુ વ્હીલરચાલકો પર હુમલાના બનાવ વધી ગયા છે અને શહેરમાં રેબીઝની પ્રતિબંધક વેક્સિનની અછત છે. આ સમસ્યા નિયંત્રણ બહાર જાય તે પહેલા જ પાલિકાએ તાત્કાલિક પગલા લેવા જોઈએ. અન્યથા સાર્વજનિક સુરક્ષાની પરિસ્થિતી હાથની બહાર નીકળી જશે.