દિલ્હી, મુંબઈ સહિતના 5 એરપોર્ટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ: સુરક્ષા સઘન

નવી દિલ્હી/મુંબઈઃ પાટનગર દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કારમાં થયેલા વિસ્ફોટની તપાસ માટે કેન્દ્રીય એજન્સીઓ મથી રહી છે ત્યારે આજે એક એરલાઈન્સને બોમ્બની ધમકીભર્યા ઈમેલને કારણે પ્રશાસન દોડતું થઈ ગયું હતું.
આજે બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે દેશના પાંચ મહત્ત્વના એરપોર્ટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ પાંચ એરપોર્ટ્સમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ત્રિવેન્દ્રમ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. ધમકીભર્યો ઈમેલ મોકલવાને કારણે સુરક્ષા એજન્સી હરકતમાં આવી ગઈ છે, જ્યારે આ ઈમેલ કોને મોકલ્યો એના અંગે કંઈ જાણવા મળ્યું નથી.
મુંબઈથી વારાણસી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા પછી ખળભળાટ મચી ગયો હતો. અને બનાવ પછી લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું ત્યાર પછી ફ્લાઈટને ઈમરજન્સી આઈસોલેશનમાં લઈ જવામાં આવ્યા હતા.
તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા સમગ્ર વિમાનની તપાસ હાથ ધરવામાં આવી હતી. ફ્લાઈટ સિવાય આજે મુંબઈથી ચેન્નઈ જવા ઉપડેલી મહાનગરી એક્સપ્રેસમાં બોમ્બની ધમકીને કારણે સુરક્ષાતંત્ર દોડતું થઈ ગયું હતું.
આપણ વાચો: ઇન્ડિગોની હૈદરાબાદ આવી રહેલી ફ્લાઈટમાં બોમ્બની ધમકી બાદ મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ…
એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે વારાણસી જનારી અમારી એક ફ્લાઈટને સુરક્ષા સંબંધમાં ધમકી મળી હતી. પ્રોટોકોલ અનુસાર સરકાર દ્વારા નિયુક્ત બોમ્બ સંબંધિત જોખમની તપાસ કરવામાં આવી હતી, જ્યારે તમામ સુરક્ષા ઉપાયો અજમાવ્યા હતા. ઉડાન સુરક્ષિત રીતે કરવામાં આવી હતી, જ્યારે તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે ઉતાર્યા પછી જરુરી તપાસ કર્યા પછી વિમાનનું સંચાલન કરવામાં આવ્યું હતું.



