પાલિકા ચૂંટણીઃ ભાજપના 43 અને શિંદે જૂથની શિવસેનાના 18 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

મુંબઈઃ 15 જાન્યુઆરીએ યોજાયેલી ચૂંટણી પહેલા મહારાષ્ટ્રની 10 મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 65 ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. ગુરુવારે યોજાયેલી 29 નાગરિક સંસ્થાઓની મતગણતરી ચાલી રહી છે ત્યારે આ ડેટા શેર કરવામાં આવ્યો હતો, એમ રાજ્ય ચૂંટણી પંચે (એસઈસી) જણાવ્યું હતું.
ભાજપ 43 ઉમેદવાર સાથે બિનહરીફ ઉમેદવારોની યાદીમાં ટોચ પર છે, ત્યાર બાદ સાથી પક્ષ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના (18 ઉમેદવારો), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (2), 1 અપક્ષ અને 1 ઉમેદવાર ઇન્ડિયન સેક્યુલર લાર્જેસ્ટ એસેમ્બલી ઓફ મહારાષ્ટ્ર નામની સ્થાનિક પાર્ટીનો સમાવેશ થાય છે.
થાણે જિલ્લાના કલ્યાણ-ડોંબિવલીમાંથી સૌથી વધુ 20 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા, જેમાં ભાજપના 16 અને શિવસેનાના 6 ઉમેદવારોનો સમાવેશ થાય છે.
ભાજપના 2 ઉમેદવારો પિંપરી ચિંચવડ અને પુણે બંનેમાં ચૂંટણી લડ્યા વિના અને થાણે જિલ્લાના ભિવંડી નિઝામપુરમાંથી 6 ઉમેદવારો ચૂંટણી લડ્યા વિના જીત્યા હતા. પનવેલમાં, 7 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા, જેમાં ભાજપના 6 અને 1 અપક્ષનો સમાવેશ થાય છે.
જળગાંવમાં ૧૨ ઉમેદવાર ચૂંટણી લડ્યા વિના ચૂંટાયા, જેમાં શિવસેના અને ભાજપના 6-6 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ધુળેમાં, 4 બિનહરીફ ઉમેદવારો ભાજપના છે. જ્યારે થાણેમાં, બધા 6 કોર્પોરેટરો શિવસેનાના છે. જ્યારે અહિલ્યાનગરમાં, 3 ઉમેદવારો ભાજપના અને 2 એનસીપીના છે.
રાજ્ય ચૂંટણી કમિશનર દિનેશ વાઘમારેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં શાસક ગઠબંધનના ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હોય તેવા કેસોના અહેવાલો મ્યુનિસિપલ કમિશનરો પાસેથી માંગવામાં આવ્યા છે. જોકે, બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોના વિવરણ બાબત રાજ્ય ચૂંટણી પંચ મૌન છે.



