આમચી મુંબઈ

ચાકુ હુલાવી હત્યા કરવાના કેસમાં આરોપી 24 વર્ષે તલાસરીમાં પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ભાડું નકારવાને મુદ્દે થયેલા વિવાદમાં ચાકુ હુલાવી પ્રવાસીની કથિત હત્યા કરવાના કેસમાં ફરાર આરોપી 24 વર્ષે તલાસરીમાં પકડાયો હતો.

મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ હારુન અલી મુસ્તકિમ અલી સૈયદ (43) તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને વિરાર પોલીસના તાબામાં સોંપાયો હતો.

આપણ વાંચો: કૅફે માલિકની ગોળી મારી હત્યા:હિરણવાર ગૅન્ગના પાંચ પકડાયા…

પોલીસના જણાવ્યા મુજબ 14 ઑક્ટોબર, 2001ના રોજ વિરારમાં થયેલી મોહરમ અલી મોહમ્મદ ઈબ્રાહિમ અલી (56)ની હત્યાના કેસમાં સૈયદ ફરાર હતો. મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને વસઈમાં રહેતો સૈયદ તે સમયે રિક્ષા ચલાવતો હતો.

કહેવાય છે કે અલીએ અર્નાળા જવા માટે રિક્ષા ડ્રાઈવર સૈયદને પૂછ્યું હતું. સૈયદે ઇનકાર કરતાં તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. રોષમાં આવી આરોપીએ ચાકુથી હુમલો કરી અલીની હત્યા કરી હતી. આ પ્રકરણે વિરાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આપણ વાંચો: પત્નીની હત્યા અને સાવકી પુત્રી સાથે દુષ્કર્મના કેસમાં આરોપી 21 વર્ષે પકડાયો

તપાસમાં અલીની હત્યા સૈયદે કરી હોવાની ખાતરી થઈ હતી, પરંતુ તે પોલીસને હાથ લાગતો નહોતો. આખરે પોલીસે આરોપી વિરુદ્ધ કોર્ટમાં આરોપનામું દાખલ કરી તેને ફરાર દર્શાવ્યો હતો.

દરમિયાન હત્યા જેવા ગંભીર ગુનાનો આરોપી પકડાયો ન હોવાથી તાજેતરમાં કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને કરવાનો આદેશ અપાયો હતો. છેલ્લા પાંચ મહિનાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીની પાછળ લાગી હતી. આખરે તે તલાસરીમાં હોવાની માહિતી મળતાં પોલીસે તેને પકડી પાડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button