પાકિસ્તાન માટે જાસૂસીનો આરોપ લગાવી ગિરગામની વૃદ્ધા પાસેથી 22 લાખ પડાવ્યા

મુંબઈ: દિલ્હી એટીએસ અને જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારીઓના સ્વાંગમાં દક્ષિણ મુંબઈની વૃદ્ધા સાથે 22 લાખ રૂપિયાની ઠગાઇ આચરવામાં આવી હતી. પાકિસ્તાન માટે જાસૂસીનો આરોપ લગાવીને સાયબર ગુનેગારોએ વૃદ્ધા પાસેથી પૈસા પડાવ્યા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે લોકોને છેતરવા માટે જાસૂસીનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડ આચરવાનો શહેરમાં આ પહેલો કિસ્સો છે.
દક્ષિણ મુંબઈના ગિરગામ વિસ્તારમાં રહેનારી 64 વર્ષની ફરિયાદીએ આ પ્રકરણે ગયા અઠવાડિયે દક્ષિણ સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીને આ મહિનાની શરૂઆતમાં અજાણ્યા નંબર પરથી ત્રણ કૉલ આવ્યા હતા. કૉલ કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ ‘દિલ્હી એટીએસ’ (એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ)ના અધિકારી પ્રેમ કુમાર ગુપ્તા તરીકે આપી હતી અને પોતે જમ્મુ-કાશ્મીર બોર્ડર પોલીસ સ્ટેશનમાં કાર્યરત હોવાનું જણાવ્યું હતું.
ગુપ્તાએ ફરિયાદીને જણાવ્યું હતું કે પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી શૅર કરવા બદલ તમારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમને જાસૂસી માટે 10 વર્ષની કેદ અને પચાસ લાખ રૂપિયાના દંડનો સામનો કરવો પડશે, એવી ફરિયાદીને તેણે ધમકી આપી હતી. ગુપ્તાએ પોતાના આઇડી કાર્ડનો ફોટો પણ ફરિયાદીના મોબાઇલ પર મોકલ્યો હતો.
દરમિયાન ધરપકડ અને અન્ય કાનૂની ગૂંચવણોના ડરથી ફરિયાદીએ 6થી 10 જૂન વચ્ચે 22 લાખ રૂપિયા આરોપીએ આપેલા વિવિધ બૅંક અકાઉન્ટ્સમાં ડિપોઝિટ કર્યા હતા.
આ પણ વાંચો - નવી મુંબઈમાં વૃદ્ધ ખેડૂતનો આત્મહત્યાનો પ્રયાસ
પૈસા ચૂકવ્યા બાદ ફરિયાદીને ફોન કૉલ્સ આવવાના બંધ થઇ ગયા હતા. બાદમાં ફરિયાદીને ખ્યાલ આવ્યો હતો કે તેની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે.
આ પ્રકરણે 13 જૂને દક્ષિણ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ઇર્ન્ફોમેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)